
- મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રજાતિના રોપી વવાયા,
- સેક્ટર-28 અને 29ની પ્રાથમિક શાળાઓમાં ઔષધીય અને ફળઝાડના રોપાનું વાવેતર,
- ‘એક પેડ માં કે નામ‘ અને ‘કેચ ધ રેઈન‘ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી બનાવવા માટેના પ્રસાયો હાથ ધરાયા છે. અને ચોમાસા દરમિયાન વધુને વધુને વૃક્ષારોપણ કરવામાં આવશે. ગાંધીનગર શહેરને ફરી હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે સેક્ટર-30માં જૂની આરટીઓ ઓફિસ સામે મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં 2000થી વધુ વિવિધ પ્રજાતિના રોપાનું વાવેતર કરાયું છે.
પાટનગર ગાંધીનગરમાં સેક્ટર-28 અને 29ની પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ ઔષધીય અને ફળઝાડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલ ‘એક પેડ માં કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ અભિયાનને સફળ બનાવવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ચેરમેન ગૌરાંગ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સુઘડ-ગાંધીનગર એરપોર્ટ લિંક રોડ પર એક હજાર લીમડાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સંપદ-વસાઈ ગ્રુપના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને પાટનગરની હરિયાળીને પુનઃસ્થાપિત કરવા આ વર્ષે વૃક્ષારોપણને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
પાટનગર ગાંધીનગરમાં એક સમયે આચ્છાદિત લીલીછમ વૃક્ષો હતા. અમદાવાદ-ગાંધીનગર હાઈવે પરતો બન્ને બાજુ જંગલસમા વૃક્ષો હતા. ઉનાળા દરમિયાન વધુ વૃક્ષો હોવાને કારણે ગાંધીનગરમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછુ રહેતું હતું. પણ છેલ્લા બે દાયકાથી વિકાસની રફતાર ગતિમાં લીલાછમ વૃક્ષોનો ખૂડદો બોલી ગયો છે. તેના કારણે વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. હવે વૃક્ષારોપણ કરીને વાવેલા વૃક્ષોની દરકાર રાખવામાં આવતી નથી. એટલે નાના છોડ મુરઝાઈ જતા હોય છે.