
- શહેર પોલીસ અને આરએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું
- વીજ જાડોણો કાપવા પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા
- 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરાયા
રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 જેટલા બુટલેગરોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને 38 બુલેગરોના 55 જેટલાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ. પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોનાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે વહેલી સવારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરનાં 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે આજે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં છે.
રાજકોટ શહેરના રૈયાધાર પરશુરામ ટેકરી નજીક ગેરકાયદે દબાણો પર બુડોઝર ફેરવાયું હતું. આ વિસ્તારનો સ્માર્ટ સિટી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણોને દૂર કરવા માટે પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલા આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું મકાન હતું. આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.
રાજકોટ શહેર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગની સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેમના 55 કરતાં વધુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજિક તત્ત્વો છે તેમની કમરતોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે.