
- વિદ્યાર્થીઓએ તા. 28 મે સુધીમાં જે તે શાળામાં પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે
- બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ વિવિધ માધ્યમની કુલ 7378 જગ્યાઓ ખાલી,
ગાંધીનગરઃ RTE એક્ટ-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. 21 મે, 2025ના રોજ યોજાયેલા RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ બાદ વધુ 7006 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. 28 મે, 2025 બુધવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની 728, અંગ્રેજી માધ્યમની 4564, હિન્દી માધ્યમની 1920 અને અન્ય માધ્યમની 166 એમ કુલ 7378 જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે.
રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ 2025-26 માં રાજયની કુલ 9814 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 94798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં 86,264 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં 80,453 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ 14,345 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 89,445 અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. 15 મે, 2025થી તા. 17 મે, 2025 દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ 54,695 અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના 43,750 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.