1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અલંગમાં 75 ટકા પ્લોટ્સ ખાલી છે, છતાં વધુ 50 પ્લોટ્સ વિક્સાવવા કરોડોનો ખર્ચ
અલંગમાં 75 ટકા પ્લોટ્સ ખાલી છે, છતાં વધુ 50 પ્લોટ્સ વિક્સાવવા કરોડોનો ખર્ચ

અલંગમાં 75 ટકા પ્લોટ્સ ખાલી છે, છતાં વધુ 50 પ્લોટ્સ વિક્સાવવા કરોડોનો ખર્ચ

0
Social Share
  • અલંગમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે,
  • હાલ માત્ર 25 ટકા પ્લોટમાં શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી છે,
  • સરકાર મથાવડાના દરિયાકાંઠે 50 પ્લોટ્સ વિકસાવવા કરોડોનો ખર્ચ કરી રહી છે

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. વિદેશથી ભંગાવવા માટે આવતા જહાજોમાં ઘટાડો થયો છે. અલંગમાં માત્ર 25 ટકા પ્લોટ્સમાં જ શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી છે. જ્યારે 75 ટકા પ્લોટ્સ ખાલી પડ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા અલંગ નજીક મથાવાડાના દરિયા કિનાર નજીક શિપ બ્રેકિંગ માટે 50 જેટલા પ્લોટ્સ કરોડોના ખર્ચે વિકસાવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાય જોઈને લોકો આશ્વર્ય અનુભવી રહ્યા છે.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં એક સમયે ભંગાણાર્થે આવતા જહાજોનો વૈશ્વિક હિસ્સો 40 ટકાથી પણ વધુ હતો, પરંતુ છેલ્લા 3 વર્ષમાં અલંગની માઠી બેઠી હોય તે રીતે અહીં જહાજોની સંખ્યામાં સતત ઓટ વર્તાઇ રહી છે. એક તરફ શિપ બ્રેકિંગ વ્યવસાય તેના અસ્તિત્વની લડાઇ લડી રહ્યો છે, અને હાલ અલંગમાં માત્ર 25 ટકા પ્લોટમાં જ કટિંગ કામગીરી ચાલી રહી છે, ત્યારે સરકાર અલંગની બાજુમાં આવેલા મથાવડાના દરિયાકાંઠે વધુ 50 શિપ બ્રેકિંગ પ્લોટ વિકસાવવા માટે કન્સલટન્સી સહિતની બાબતોમાં સરકાર કરોડો રૂપિયાનો વ્યય કરી રહી છે. વર્તમાન સમયમાં ભારતમાં અલંગ એકમાત્ર સ્થળ એવું છે જ્યાં સમગ્ર વિશ્વના આયુષ્ય વટાવી ચૂકેલા જહાજો ભંગાણાર્થે આવે છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં પણ શિપ બ્રેકિંગ વ્યવસાય વિકસાવવાની દિશામાં કામગીરી આગળ ધપાવી રહ્યું છે. એવા જ સમયગાળામાં અલંગની બાજુમાં આવેલા મથાવડાના દરિયાકાંઠે પણ 50 શિપ બ્રેકિંગ પ્લોટ વિકસાવવાની ઘોષણા કરી ચૂક્યુ છે અને તેનો કઇ રીતે વિકાસ કરવો સહિતની બાબતો પાછળ કન્સલટન્ટ રોકવામાં આવ્યા છે અને તેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ વર્ષ 1982માં અલંગને શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિક્સાવવાનું નક્કી કરાયું ત્યારે કોઈ કન્સલટન્ટ રોકવામાં આવ્યા ન હતા, માત્ર દરિયાકાંઠે ભરતી-ઓટની કેટલી અસર રહે છે? મોટી ભરતીના સમયગાળામાં કાંઠે કેટલા મીટરના પાણી ઉપલબ્ધ થાય છે તેવી સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખી અને અલંગ વિકસાવવામાં આવ્યુ હતુ. મથાવડા પણ અલંગની બાજુમાં જ આવેલું છે, અહીં પણ દરિયાઇ અને ભૌગોલિક પરિસ્થિતિ અલંગની જેવી જ છે જે બાબતથી સરકારી અધિકારીઓ પણ વાકેફ છે છતા કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવી રહ્યુ છે.

વૈશ્વિક મંદીને લીધે અલંગમાં જહાજોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો જ થઇ રહ્યો છે, અને વર્ષ 2016માં અલંગમાં 315 શિપ ભંગાણાર્થે આવ્યા હતા તેમાં ઓટ આવી છે અને વર્ષ 2022માં 141, 2023માં 137, 2024માં માત્ર 113 જહાજ જ લાંગરી શક્યા છે. અલંગમાં કુલ 167 પ્લોટ આવેલા છે તે પૈકી માત્ર 25 ટકા પ્લોટમાં જ જહાજ ભાંગવાની કામગીરી ચાલી રહી છે. હવે હોંગકોંગ કન્વેન્શન જુન માસથી અમલમાં આવી રહ્યું છે તેથી શિપ બ્રેકરો પણ નવા નિયમોની અસરો બજાર પર કેવી રહે છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અલંગમાં 167 પ્લોટ છે તે પૈકી હાલ માત્ર 25 ટકા પ્લોટમાં જ કામગીરી ચાલી રહી છે. નવા પ્લોટ વધારવાને બદલે હયાત પ્લોટમાં કેવી રીતે વધુ જહાજ લાવી શકાય તે દિશામાં વિચારણા થવી જરૂરી છે. યુરોપીયન યુનિયનની માન્યતા માટે જે કોઇ અડચણો હોય તે દૂર કરી અને યુરોપના જહાજો અલંગમાં લાવવાનો રસ્તો ખોલવો જરૂરી છે. ઉપરાંત ઓફેક લિસ્ટેટ શિપને અલંગમાં લાવવામાં જો કાનૂની ગુંચવડો ન હોય તો સરકારી પ્રક્રિયાઓ, બેંક પ્રક્રિયાઓ સરળ બનાવી આવા શિપ અલંગમાં લાવી શકાય તે દિશામાં પ્રયાસો કરવા જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code