
- છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ,
- ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી,
- બાવળામાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા 224 મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરી
ગાંધીનગરઃ ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.
ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ 2024-25 દરમિયાન કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2019-20 થી 2024-25 સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ 3.000 મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે.
આ સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. કેરીની વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાતમાં કેરી-આંબાની ખેતીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.
જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ 4.71 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 1.77 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે, 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ 38.000 હેક્ટર, નવસારી જિલ્લામાં 34.800 હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં 18.400 હેક્ટર, કચ્છ જિલ્લામાં 12.000 હેક્ટર તેમજ સુરત જિલ્લામાં 10.200 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે કેસર કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
બાવળા ઈરેડિયેશન યુનિટ દ્વારા ગત પાંચ વર્ષમાં 805 મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન-નિકાસ કરાઈ
અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા આ વર્ષે આશરે 224 મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. બાવળા ખાતે સ્થિત આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ ખાતેથી આશરે 805 મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.