
SCO સમિટમાં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ, ખ્વાજા આસિફને મળવાનું ટાળ્યું
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા હતા. તેમણે SCO સમિટના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ મુજબ, ભારત આ નિવેદનમાં સરહદ પાર આતંકવાદનો મુદ્દો સામેલ કરવા માંગતું હતું, પરંતુ તે બન્યું નહીં. મહત્વની વાત એ છે કે રાજનાથ સિંહે પાકિસ્તાનને વધુ એક આંચકો આપ્યો હતો. એટલું જ નહીં તેઓ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને મળવાનું ટાળ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે. હવે ફરી એકવાર ભારત SCO સમિટના સંયુક્ત નિવેદનમાં આ મુદ્દો સામેલ કરવા માંગતું હતું, પરંતુ તે થઈ શક્યું નહીં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સમિટમાં પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દા પર તીવ્ર પ્રતિક્રિયા આપી.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આતંકવાદના આકા, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેની સાથે વ્યવહાર કરવામાં બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના એક પરિષદમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેટલાક દેશો આતંકવાદીઓને આશ્રય આપવા માટે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ નીતિગત સાધન તરીકે કરી રહ્યા છે.
રાજનાથ સિંહે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “પહલગામ આતંકવાદી હુમલાની પદ્ધતિ ભારતમાં લશ્કર-એ-તૈયબાના અગાઉના આતંકવાદી હુમલાઓ જેવી જ હતી. ભારત આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં. આતંકવાદ સાથે વ્યવહાર કરવામાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. SCO એ આ ખતરાનો સામનો કરવામાં બેવડા ધોરણો અપનાવનારા દેશોની ટીકા કરવામાં અચકાવું જોઈએ નહીં.”
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો.