1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા
વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

0
Social Share
  • શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા,
  • ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી,
  • ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે

વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવા ઉપરાંત શહેરના તળાવો ઊંડા કરવાની કામગીરીનો સમાવેશ કરાયો હતો. ‘વિશ્વામિત્રી પ્રોજેક્ટ’ અંતર્ગત શહેરના 23 તળાવો ઊંડા કરવાની યોજના બનાવવામાં આવી હતી, જેના ભાગરુપે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 16 જેટલા તળાવો ઊંડા કરવાનું આયોજન કર્યું હતું. જોકે, આ આયોજન મુજબ હાલ સુધીમાં માત્ર 7 તળાવો જ ઊંડા કરાઈ શક્યા છે. પરિણામે, 23 તળાવોમાંથી 16 તળાવો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઈ ગયા છે. હજુ તો ચોમાસાની શરુઆત જ થઈ છે ત્યારે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાનાખરાબી સર્જાશે એ શક્યતાને નકારી શકાય નહીં.

વિશ્વામિત્રી પ્રોજેક્ટના સૂત્રોના કહેવા મુજબ  વડોદરા શહેરમાં ગત વર્ષે વિશ્વામિત્ર નદીમાં આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટમાં શહેરના તળાવો ઊંડા કરીને પાણી સંગ્રહ કરવાના પણ સૂચન કરાયા હતા. જેના ભાગરૂપે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 23 તળાવો પૈકી 16 તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધીમાં 7 તળાવ જ ઊંડા કરાયા છે. 3 તળાવોની કામગીરી ચાલી રહી છે. જ્યારે, 6 તળાવોના પાણી ખાલી કરવા બાબતે વિરોધ થતાં કામગીરી થઇ શકી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  16 તળાવો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઈ જતા પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં આ તળાવ આસપાસના વિસ્તારોમાં જોખમ ઊભું કરે એવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. એ તો ઠીક ગોત્રી, કમલાનગર, કપુરાઇ, છાણી, હરણી સહિત અન્ય તળાવોનુ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે પરંતુ, હાલમાં આ તળાવોમાં પારાવાર ગંદકી અને જંગલી વેલ ઉગી જવાના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે. વડોદરાના 23 તળાવો 80 હેક્ટર વિસ્તારને આવરે છે. જેમાં 720 મિલિયન લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન દ્વારા તળાવોને ઊંડા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જોકે, આ કામગીરી ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ પૂર્ણ થઈ નથી ત્યારે પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં તળાવોની આસપાસના વિસ્તારોમાં તળાવના પાણી તેના કિનારાની મર્યાદા ઓળંગીને તળાવની બાજુથી પસાર થતા માર્ગો ઉપર અથવા નજીકમાં આવેલી સોસાયટીઓમાં પ્રવેશવાની પૂરી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code