
કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ચિનાબ નદીનું જળસ્તર વધતાં સલાલ ડેમના દરવાજા ખોલાયા
નવી દિલ્હીઃ જમ્મુમાં ભારે વરસાદને કારણે ચેનાબ નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા સલાલ ડેમના ઘણા સ્પિલવે દરવાજા ખોલી નાખ્યા છે. વધારાના પાણીને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને નીચેના પ્રવાહમાં કોઈપણ સંભવિત પૂરને રોકવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને તમામ સલામતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
અગાઉ એવા અહેવાલ હતા કે, જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે બગલીહાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ડૂબી ગયો છે. ડોડા-કિશ્તવાર-રામબન રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) શ્રીધર પાટીલે પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને લોકોને નદીઓ અને વહેતા નાળાઓથી દૂર રહેવા વિનંતી કરી. DIG પાટીલે કહ્યું કે, તમે બધાએ જોયું હશે કે ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. હું બધા લોકોને અપીલ કરું છું કે નદીઓની નજીક ન જાઓ, પાણીનું સ્તર ખૂબ ઊંચું છે. પોતાને જોખમમાં ન નાખો.