
અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવ વધી રહ્યા છે, તે પોલીસ માટે એક મોટો પડકાર છે. તેની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ તમામ સંદર્ભે આજે ગુજરાત ATSમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં રાજ્યના પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. એક વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોના 17 કરોડ રૂપિયા પરત કર્યા હોવાની વાત પણ આ સમગ્ર મીટીંગ દરમિયાન ચર્ચામાં હતી.
રાજ્યમાં દર મહિને ક્રાઈમ કોન્ફરન્સ યોજાય છે. આ કોન્ફરન્સમાં ગુનાખોરી રોકવા પર ચર્ચા થાય છે. ગયા જૂન મહિનામાં આ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ શકી નહોતી. આ જુલાઈ મહિનાની ક્રાઈમ કોન્ફરન્સમાં કમ્યુનિટી પ્રોગ્રામની ચર્ચા કરાઈ હતી. તેરા તુજકો અર્પણ હેઠળ મેં માસમાં 623 પ્રોગ્રામમાં 14 કરોડનો મુદ્દામાલ પરત કરાયો હતો. સ્થાનિક લોકો સાથે પોલીસે ચર્ચા માટે 1770 મિટિંગ કરી હતી. સ્થાનિક સમસ્યાઓ ઉપર ચર્ચા કરી પોલીસ તે દિશામાં કામગીરી કરે છે. વ્યાજખોરો સામે 43 પોલીસ ફરિયાદ નોંધીને 74 આરોપીને પકડી લેવાયા હતા.
ક્રાઈમ કોન્ફરન્સમાં સાઈબર ફ્રોડ એક મોટો પડકાર હોવાની ચર્ચા થઈ હતી. સાયબર ફ્રોડ નંબર હેલ્પલાઇન ઉપર આવતી અરજીની તપાસ કરાઈ રહી છે. મે, 2025માં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 17 કરોડ રૂપિયા પરત અપાય છે. લોક જાગૃતિ માટે સાઈબર એજ્યુકેશનના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. સમન્વય પોર્ટલમાં સાઈબર ક્રાઇમમાં ભાડે આપતા બેન્ક ખાતાની ઓળખ કરીને રિપોર્ટ કરવામાં આવે છે. 480 ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, તે પૈકી 276 આરોપીઓ 1 વર્ષ કરતા વધુ સમયથી ફરાર હતા. 26 આરોપીઓએ પેરોલ જમ્પ કરીને ફરાર થયા હતાં.
15 માર્ચના રોજ રાજ્યના પોલીસને આદેશ કે અપાયો છે કે, તેઓ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે, તે મુજબ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે .15 માર્ચથી અઢી મહિનામાં 586 અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે. 1857 અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કટ કરાયા છે. 434 અસામાજિક તત્વોની જામીન અરજી રદ્દ કરવા કાર્યવાહી કરાઈ છે. 1000થી વધુ અસામાજિક તત્વોને તડીપાર કરાયા છે. 800થી વધુ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. 204 બેન્ક ખાતા સીઝ કરાયા છે.
ગુજરાતના દરિયાકિનારાને સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ અને SOGની કામગીરી અસરકારક કરવામાં આવશે. વરિષ્ઠ અને અનુભવી અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે. કોન્ફરન્સમાં દરિયાઇ સુરક્ષા માટે કાર્યવાહી કરાઈ છે. મહિલા અને બાળ સુરક્ષા માટે શી ટિમ અંગે ચર્ચા કરાઈ છે. 112 ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ કાર્યરત કરવા સુચના અપાઈ છે. જે નાગે પ્રેઝન્ટેશન પણ કરાયું છે. છેલ્લા 15 દિવસોમાં 70 આરોપીઓની NDPS કેસમાં ધરપકડ કરાઈ છે.