જામનગર, 20 માર્ચ 2026: A farmer died after being struck by lightning during unseasonal rains જિલ્લામાં ગુરૂવારે સમીસાંજથી મોડી રાત સુધી વાવાઝોડા અને માવઠાએ કૃષિપાકને સારૂએવું નુકસાન કર્યું છે, દરમિયાન જિલ્લાના જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા એક માલધારીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જામનગર શહેરમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે.
જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં વીજળી પડતા આ દુઃખદ ઘટના બની હતી. જૂની આંબરડી ગામના વતની 52 વર્ષીય કાબા વકાતર વ્યવસાયે માલધારી હતા. ગઈકાલે સાંજે તે ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેંસો ચરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજળી ત્રાટકતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના નાના ભાઈ વિશાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં ગુરૂવારે સમીસાંજ બાદ ફૂંકાયેલા વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર આઝાદ બાગનું એક મહાકાય વૃક્ષ વીજ સબ સ્ટેશન પર ખાબક્યું હતું. જેના કારણે આખા વિસ્તારનો વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. તોતીંગ વૃક્ષ પડવાથી વીજ થાંભલા વળી ગયા હતા અને લાઈવ વાયરો તૂટી જતાં ભારે નુકસાન થયું હતું. વીજ તંત્ર દ્વારા હાઈડ્રોલિક ક્રેઈન બોલાવી વૃક્ષના અવશેષો હટાવવામાં આવ્યા હતા. અડધી રાત સુધી કવાયત કર્યા બાદ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. કમોસમી વરસાદ અને પવનને કારણે જિલ્લામાં જાન-માલનું નુકસાન થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


