અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે નગરની પરિક્રમાએ નીકળતા રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શહેરના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો. નગરની પરિક્રમા બાદ રથયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી.

આજે 26 ફેબ્રુઆરીના દિને અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે. આજે શહેરના સ્થાપના દિને નગરદેવી ભદ્રકાળી માતાજી નિર્ધારિત રૂટ પર પરિક્રમાએ નિકળ્યા હતા. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા, માતાજીની રથ યાત્રા દરમિયાન શહેરમાં ટ્રાફિકજામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીનો રથ પહોંચતાની સાથે જ મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલ ડાગા સહિત ભાજપના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના આશીર્વાદ લઈને ભદ્રકાળી માતા કી જય નાદ કર્યો હતો. માતાજીની રથ યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો દર્શન કરવા ઉમટી પડી હતી. આરતીની થાળી સાથે બહેનો માતાજીની આરતી ઉતારતી જોવા મળી.


