
- મુખ્ય મંત્રી સહિત મંત્રીઓ જુદી જુદી શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશોત્સવ કરાવશે,
- અધિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત રહેશે
- ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ખાસ તકેદારી રખાશે
ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 – 26 માટે આવતીકાલે તા.26 થી 28 જૂન સુધી રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. આ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યાનુસાર રાજયભરમાં મુખ્યમંત્રી તથા સીનીયર મીનીસ્ટર્સ સહિત આશરે 400 અગ્રણીઓ અધિકારીઓ તથા પદાદિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલ્સમાં પ્રવેશોત્સવની કામગીરી હાથ ધરાશે.
રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી 3 થી 6 વર્ષના ભૂલકાઓને આંગણવાડીમાં દાખલ કરવા માટે દર વર્ષે આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં આ વર્ષે રાજ્યની 53 હજારથી વધુ આંગણવાડીઓમાં અંદાજે 1.50 લાખથી વધુ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં 77,570 કુમાર તથા 73,379 કન્યાઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના સૌને શિક્ષણ આપવાના અવિરત પ્રયાસો થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 5 લાખથી વધુ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં 2.68 લાખ કુમાર અને 2.53 લાખથી વધુ કન્યાઓનો સમાવેશ થાય છે. આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતા વધુ છે. દેશમાં વર્ષ 2024માં આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નામાંકન 66.8 ટકા છે જેની સામે ગુજરાતની આંગણવાડીઓમાં ત્રણ વર્ષના બાળકોનું નામાંકન 87.6 ટકા નોંધાયું છે.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલ્સમાં પ્રવેશોત્સવની કામગીરી હાથ ધરાશે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, શાળામાં નામાંકિત વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ દર વર્ષ 2023 – 24 માં ધો.1 થી 5 માં 1.07 ટકા હતો અને ધો.1 થી 8 માં 2.42 ટકા જેટલો નીચે આવ્યો છે. આ અંગે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા મંત્રીમંડળની ઉપસ્થિતિમાં ઉકત નિર્ણય લેવાયો હતો.(file photo)