1. Home
  2. ગુજરાતી
  3. બુદ્ધિમાન વ્યક્તિ જીવનપર્યંત શીખતો હોય છે જ્યારે મુરખ એમ કહેતો હોય છે કે, ‘હું બધુ જ જાણું છું
બુદ્ધિમાન વ્યક્તિ જીવનપર્યંત શીખતો હોય છે જ્યારે મુરખ એમ કહેતો હોય છે કે, ‘હું બધુ જ જાણું છું

બુદ્ધિમાન વ્યક્તિ જીવનપર્યંત શીખતો હોય છે જ્યારે મુરખ એમ કહેતો હોય છે કે, ‘હું બધુ જ જાણું છું

0
Social Share
પુલક ત્રિવેદી
પુલક ત્રિવેદી

(પુલક ત્રિવેદી)

પ્રસિદ્ધ ગણિતજ્ઞ રામાનુજનજીની વાતથી ઉઘાડ કરવો છે. વર્ષ ૧૮૮૦ની ૨૨મી ડિસેમ્બરે તામિલનાડુના ઈરોડ કસબાના એક અત્યંત ગરીબ પરિવારમાં રામાનુજનજીનો જન્મ થયો હતો. એમના પિતાજી સાડીની દુકાનમાં કારકુનની નોકરી કરતા હતા. રામાનુજનજી ઉપર એમની માતાનો વિશેષ પ્રભાવ હતો. એ જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે એમણે એસ. એલ. લોનેયના ગણિત ઉપર લખેલા પુસ્તક ઉપર મહારત મેળવી લીધી હતી. આંકડાઓની માયાજાળ ઉપર રામાનુજનજીની મહારત જાણે કે ઐશ્વરીય સોગાત હતી. વર્ષ ૧૯૦૯માં એમના વિવાહ થયા. વર્ષ ૧૯૧૦માં એ બિમાર પડતા ઑપરેશન કરાવવાની નોબત આવી. ઓપરેશન માટે એમના પરિવાર પાસે પૈસા ન હતા. તબીબે એ વખતે રામાનુજનજીનું વિનામૂલ્યે ઓપરેશન કર્યું હતું. ઓપરેશન પછી રામાનુજનજી આર્થિક ઉપાર્જન માટે નોકરીની તલાશમાં નીકળી પડ્યા.

એમને ચીફ એકાઉન્ટન્ટની ઓફિસમાં કારકુનની નોકરી મળી ગઈ. ઓફિસ કામ બાદ રામાનુજનજી ગણિત ઉપર સંશોધન કાર્ય કરતા રહેતા. એકે એક ક્ષણનો એમણે શીખવામાં ઉપયોગ કર્યો. પછી તો એ ઈંગ્લેન્ડ ગયા ત્યાં એમના સંશોધન કાર્યની ખૂબ સરાહના થઈ. વર્ષ ૧૯૧૮માં એમને ટ્રીનીટી કોલેજ કેમ્બ્રિજના ફેલો તરીકે પસંદ કરવામાં આવ્યા. રામાનુજનજી પહેલા ભારતીય હતા કે જેમને કેમ્બ્રિજમાં આ પ્રકારના સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા. વિષમ પરિસ્થિતિઓ, આર્થિક તકલીફો, શારીરિક બિમારીઓ અને અન્ય તકલીફોમાં પણ રામાનુજનજીએ એમની શીખવાની ધુનને ક્યારેય મોળી પડવા દીધી ન હતી. જીવનનું લક્ષ્ય નોકરી મેળવવાનું કે પૈસા રળવાનું હોય ત્યારે એક કક્ષા પછી વ્યક્તિગત વિકાસને તાળા લાગી જાય છે. જ્યારે જીવનની પ્રત્યેક પળમાં કંઈક નવું પ્રાપ્ત થઈ રહ્યું છે એમ સમજીને આવકારવામાં આવે ત્યારે નોકરી અને પૈસા બન્ને ‘બાય પ્રોડક્ટ’ જેવા લાગે.

બુદ્ધિમાન વ્યક્તિ જીવનપર્યંત શીખતો હોય છે જ્યારે મુરખ એમ કહેતો હોય છે કે, ‘હું બધુ જ જાણું છું.’ જે વ્યક્તિ એના અનુભવો અને જ્ઞાનથી શીખતો રહે છે તેનો વિકાસ થાય છે. એના નિર્ધારીત લક્ષ્યને એ જરૂર હાંસલ કરે છે. જે વ્યક્તિ અનુભવો અને વર્તમાન પાસેથી કંઇ શીખતો નથી તે ગરીબીને સામેથી નોતરું આપતો હોય છે. આવા લોકો તેમના જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતા નથી. મોટા ભાગના લોકો શાળા અને વિશ્વ વિદ્યાલયોમાં એટલા માટે પ્રવેશ લેતા હોય છે કે, એમને સારી નોકરી મળી શકે. સ્નાતક, અનુસ્નાતક કે પછી ડૉક્ટરેટની ડિગ્રી મળી જાય એટલે એમ સમજવામાં આવે છે કે, મારો અભ્યાસ પૂરો થઈ ગયો. હવે મારે આગળ અભ્યાસની ક્યાં જરૂર છે ? પરંતુ જ્યારે નસીબ ખરાબ હોય અને નોકરી ન મળે ત્યારે શું થાય ? ખરેખર તો આવા લોકોને એ સમજ નથી પડતી કે એણે મેળવેલી ડિગ્રી તો ગોખણપટ્ટીથી આવી છે. શીખીને આવી નથી.

કેટલાક લોકો તો ભણીને ડિગ્રી મેળવી લીધા પછી નોકરીએ લાગે એટલે અભ્યાસ કરવાનું છોડી દેતા હોય છે. શીખવાનું, જાણવાનું બંધ કરી દે છે. આવા લોકો એમના આગળ વધવાના દરવાજા સ્વયં બંધ કરી દેતા હોય છે. દુનિયામાં કેટ કેટલી નવી બીબતો અને ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે. જગતના પ્રતિદિન સર્જાતી ઘટનાઓની ઘટમાળથી અજાણ રહેવાનું ક્યારેય ન પોસાય. દુનિયામાં એવા ઘણા લોકો છે કે, જેમણે તેમના જીવનની પ્રત્યેક ક્ષણનો સદઉપયોગ કરીને કશુંક શીખવા માટેની તૈયારી રાખી છે. આ કક્ષામાં આવતા લોકો જ સિંહાસન ઉપર બેસી શખ્યા છે. એમ કહો કે એ લોકો જ્યા બેસે છે એ સિંહાસન બની જાય છે. માઈક્રોસોફ્ટ કંપની ઊભી કરીને બીલ ગેટ્સ અબજોપતિ બની ગયા પછી પણ ગેટ્સે શીખવાનું બંધ ન કર્યું. ઈલોન મસ્કે એની કંપનીમાં રોજ નવું કંઈક શીખવાનું ચાલુ રાખ્યું છે. આજે માણસના મગજમાં ચીપ સેટ કરીને માનવીના વિચારો સાથે કોમ્પ્યુટર રન કરવાની દિશામાં મસ્ક આગળ વધ્યા હોવા છતાં તે પ્રતિપળ કંઈક નવું શીખીને નવું કરવાનું વિચારતા રહે છે.

શીખવું એ નવા જ્ઞાન, યોગ્યતાઓ અને કૌશલ્યો પ્રાપ્ત કરવાની સતત ચાલતી પ્રક્રિયા છે. માનવ મન ગજબનુ જિજ્ઞાસુ હોય છે અને નવા પડકારો અને સંભાવનાઓ શોધવામાં ક્યારેય અચકાતુ નથી. મનુષ્યની શીખવાની પ્રક્રિયા બાળપણથી શરૂ થાય છે, જેમ કે બાળક ચાલવાનું શીખે છે, ભાષાને સમજે છે અને બોલવાનો પ્રયાસ કરે છે. આપણી સૌથી મહત્વપૂર્ણ ક્ષમતાઓ પૈકીની એક અને જેનાથી આપણા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવી શકે છે તે છે ‘શીખવાનું’ શીખવું. આ કૌશલ્ય એકદમ નહીં સમયાંતરે વિકસિત થઈ શકે છે. તેની વ્યક્તિગત સુખાકારી અને અસરકારકતા જેવા પાસાઓ ઉપર ખૂબ જ નોંધપાત્ર અસર થતી હોય છે. શીખવું તમને આત્મસિદ્ધિની લાગણી તરફ દોરી જાય છે અને તમને નવા પડકારોનો સામનો કરવા તૈયાર કરે છે. શીખવાનું ચાલુ રાખવાથી આત્મવિશ્વાસ વધે છે. તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવામાં મદદ કરે છે. નિરંતર શિખવાની વૃત્તિ આત્મસન્માન ઉપર હકારાત્મક અસર પેદા કરે છે. વિલિયમ આર્થર વોર્ડના મતે જાણવાની ઇચ્છા એ શીખવાની મીણબત્તીની વાટ છે.

માણસ તેની સમજદારીથી અમીર અને મહાન બનતો હોય છે નહીં કે માત્ર શૈક્ષણિક ડિગ્રીઓથી. જ્યાં સુધી વ્યક્તિ જ્ઞાનનો પોતાના જીવનમાં ઉપયોગ નથી કરી શકતો ત્યાં સુધી એના જીવનમાં એ કોઈ બદલાવ નથી લાવી શકતો. કેટલાક લોકો નોકરી મેળવવા સંઘર્ષ કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો નોકરી આપવા માટે સંઘર્ષ ખેડે છે. નોકરી મેળવવા સંઘર્ષ કરનારા એમના જીવનમાં એકવાર જ સંઘર્ષ કરે છે. નોકરી મળી ગયા પછી એમનો સંઘર્ષ પૂરો થઈ જાય છે, પ્રગતિ અટકી જાય છે. જ્યારે બુદ્ધિમાન લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી નવું લક્ષ્ય નિર્ધારીત કરીને નિરંતર શીખતો જાય છે અને સદાય સંઘર્ષના પથ ઉપર ચાલતો જાય છે. જીવનમાં આગળ વધવાનું સોનેરી સૂત્ર છે, ‘હંમેશા નવું શીખવા તત્પર રહેવું એવું ક્યારેય ન સમજવું કે મને બધુ ખબર છે.’ શીખવાની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી પાસે નવો અનુભવ હોય, પછી ભલે તે નવો શબ્દ વાંચ્યો હોય, કોઈનો કે પોતાનો કોઈ નવો ખ્યાલ સામે આવ્યો હોય અથવા કોઈ સમસ્યા ઉકેલવા માટે કોઈ નવી પદ્ધતિ અખત્યાર કરવામાં આવી હોય. દરેક તબક્કે શીખવું એ વ્યક્તિના જીવનનું આવશ્યક પાસું છે. લિયોનાર્ડો દા વિન્સીનો વિચાર હંમેશા યાદ રાખવા જેવો છે. વિન્સી કહેતા કે, શિક્ષણ એ એકમાત્ર એવી બાબત છે કે, જેનાથી મન ક્યારેય થાકતું, ડરતું કે પસ્તાવો કરતું નથી. નવુ શીખવાની વાત આપણા મનને આનંદમાં રાખવામાં મદદ કરે છે સાથે સાથે આપણા આત્માની શુધ્ધી પણ કરે છે. શીખવું એ બહેતર જીવનની તૈયારી નથી, શીખવું એ જ જીવન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code