1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે

0
Social Share
  • ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને આપી મંજુરી
  • ટેકનોલોજી ફેકલ્ટીમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્ષ શરૂ કરાશે
  • વિદ્યાર્થીઓ એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી આ કોર્ષ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ હેઠળ ચલાવવામાં આવશે.  એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં 30 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. અને સ્વ-નાણાકીય રીતે આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.

એમ એસ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ નવા સત્રથી શરૂ કરાશે, આ કોર્ષને AICTEની મંજૂરી મળી છે. યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ છે અને વડોદરા અને ગુજરાતની શૈક્ષણિક પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને અનુરૂપ, જે સ્વદેશી વિમાન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને એરોસ્પેસ ક્ષેત્રની ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન તકનીકી જ્ઞાન અને વ્યવહારુ તાલીમ પૂરી પાડશે.

એરોસ્પેસ એન્જિનિયરિંગ કોર્સ શરૂ થવાથી વડોદરા, ગુજરાત અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી તકો ખુલશે. એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી, ઉડ્ડયન પ્રણાલીઓ અને અવકાશ સંશોધન જેવા ક્ષેત્રોમાં કારકિર્દીની સંભાવનાઓ વધશે. આ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે મેટ્રો શહેરો કે રાજ્યની બહાર જવાની જરૂર રહેશે નહીં કારણ કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિશિષ્ટ ટેક્નિકલ શિક્ષણ ગુજરાતમાં જ ઉપલબ્ધ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, AICTE એ મિકેનિકલ એન્જિનિયરિંગના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 60 વધારાની બેઠકો વધારવાને પણ મંજૂરી આપી છે. આ વધારો સ્વ-ધિરાણ માળખામાં પણ લાગુ કરવામાં આવશે, જેનાથી યુનિવર્સિટી આ ક્ષેત્રમાં વધતી માંગને પહોંચી વળશે. આ બંને પહેલ નવી શિક્ષણ નીતિ (NEP) 2020ના મુખ્ય ઉદ્દેશ્યો સાથે સુસંગત છે. આ કાર્યક્રમો માત્ર અભ્યાસક્રમ નથી પરંતુ, પ્રાદેશિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ તરફ વ્યૂહાત્મક પગલાં છે. યુનિવર્સિટી એરોસ્પેસ એન્જિનિયરિંગ માટે જરૂરી પ્રયોગશાળાઓ, ઉદ્યોગ ભાગીદારી અને શૈક્ષણિક માળખાગત સુવિધાઓ વિકસાવવા પર સક્રિયપણે કામ કરી રહી છે. યુનિવર્સિટીએ એરોનોટિકલ એન્જિનિયરિંગ કોર્ષ માટે ગુજરાત સરકાર પાસેથી નાણાકીય સહાય માટે દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ, સહાય ન મળવાને કારણે યુનિવર્સિટી સ્વ-નાણાકીય રીતે એરોસ્પેસ એન્જિનિયરિંગ કાર્યક્રમ શરૂ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code