
- બોપલની સ્ટર્લિંગ સિટીમાં બે ફુટ પાણી ભરાયા,
- અખબારનગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં પાણી ભરાયા,
- નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. આજે સવારથી આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા, બુધવારે મોડી રાત્રે 1 વાગ્યા બાદ અનરાધાર વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક વીતી ગયા હોવા છતાં, આજે ગુરુવારે સવારે પણ વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો, જેના કારણે વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સવાર થતાં ફરી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંન્ટ્રોલરૂમના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ ઝોનમાં સરેરાશ 3 ઇંચ વરસાદ પડ્યો, જેમાં વિરાટનગર અને ઓઢવમાં સૌથી વધુ નોંધાયો છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં સરેરાશ 2.71 ઇંચ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 1.87 ઇંચ, મધ્ય ઝોનનમાં સરેરાશ 3.16 ઇંચ, ઉત્તર ઝોનમાં સરેરાશ 3.09 ઇંચ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ 2.95 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદને કારણે અખબારનગર અને LC 243 અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે.
શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સિટીમાં એકથી બે ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા, તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે માર્ગો અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર અને સાબરમતી ડી કેબીન અંડરપાસમાં પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેનો વહેલી સવાર સુધી નિકાલ થઈ શક્યો નહોતો. આના કારણે સ્થાનિક રહીશોને સવારે પોતાના કામ પર જવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
આ ઉપરાંત શહેરના ગોતા વોર્ડમાં આવતા અને એસ જી હાઇવે નજીક આવેલા બંધન પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર એક તરફ ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે નેહરુનગર,માણેકબાગ સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં નરોડા, મેમકો, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, વટવા, મણીનગર, ઇસનપુર, લાંભા, નારોલ, કઠવાડા દુધેશ્વર શાહપુર દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આશ્રમરોડ, પાલડી, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડજ, ચાંદખેડા, ઝુંડાલમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે રાણીપ, અખબારનગર, ન્યુ રાણીપ, જગતપુર, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, વાસણા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વટવા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી તળાવ પાસે વરસાદી પાણી ભરાયું છે જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. વરસાદ બંધ થયાના પાંચ કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ વરસાદી પાણી ઉતર્યા નથી.