અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: શહેરમાં 25 વર્ષ કે તેથી વધુ જુના 6 જેટલા રેલવે બ્રિજને 62 કરોડના ખર્ચે મરામત કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે ઓવરબ્રિજની મરામત કરવામાં આવશે જેમાં ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ, ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ, કેડીલા રેલ્વે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ અને ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.
શહેરના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા વર્ષો જુના બ્રિજોને મરામત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયથી જુના બ્રિજોમાં બેરિંગ રીપેરીંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મેજર રીપેરીંગ કામ કરવામાં આવશે. બાકીના બ્રિજોમાં નાના રીપેરીંગ કરવાના છે. રૂ. 62 કરોડના ખર્ચે બ્રિજોના રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં મુખ્ય છ રેલવે ઓવરબ્રિજ સહિતના અલગ અલગ બ્રિજમાં નાના-મોટા રીપેરીંગ કરવામાં આવશે. શાહીબાગ ગિરધરનગર, અસારવા ચામુંડા, મણીનગર નાથાલાલ ઝઘડા, ઘોડાસર કેડીલા, સાબરમતી ચીમનભાઈ પટેલ અને ચાંદલોડિયા બ્રિજમાં મોટા રીપેરીંગ કરવામાં આવશે. બીજામાં નાના રીપેરીંગ કરવામાં આવશે જેમાં બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરીગ રીપ્લેસમેન્ટ કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીગની મેથડોલોજ ડિઝાઈન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે. બ્રિજ પર રીપેરીંગની કામગીરી દરમિયાન ટ્રાફીકમાં અસર ન પડે તે માટે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો બ્રિજ પર અવર-જવર માટે બંધ કરવામાં આવશે. નવી ટેક્નોલોજી મુજબ ટેમ્પરરી બેલી સ્ટ્રક્ચર તથા જરૂરી સાઇનેજસ તેમજ ટ્રાફીક માર્શલ રાખી માત્ર નાના વાહનોની અવર જવર ચાલુ રાખી બેરીંગ રીપ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવશે. બ્રિજને સંપૂર્ણપણે બંધ નહીં કરાય પરંતુ ચાલુ ટ્રાફિકમાં આ રીપેરીંગ કામગીરી ચાલશે


