
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે શુક્રવારે થશે વિસ્તરણ, મહાત્મા મંદિરમાં યોજાશે શપથ સમારોહ
- કોને પડતા મુકાશે અને કોને લેવાશે તે અંગે ચાલતી અટકળો,
- બે દિવસ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના,
- તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા, કાલે મંત્રી મંડળનું પુનઃગઠન કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું આવતી કાલે વિસ્તરણ કરાશે, પાટનગરના મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે બપોર બાદ તમામ મંત્રીઓના રાજીનામાં લેવાયા છે. નવા મંત્રી મંડળમાં મંત્રીઓમાં કોનો સમાવેશ કરાશે, તેની અટકળો ચાલી રહી છે. આજે મોડી રાત સુધીમાં મંત્રી મંડળમાં જેનો સમાવેશ થવાનો છે.તેમને ફોન કરીને જાણ કરી દેવામાં આવશે.
ગુજરાતમાં ભપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના વિસ્તારણની છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. એમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે આવતી કાલે મંત્રી મંડળના વિસ્તરણની જાહેરાત કરી દેવામાં આવી છે, નવા મંત્રી મંડળમાં કોને સમાવેશે અને કોને પડતા મુકાશે તેની ભારે અટકળો ચાલી રહી છે. જેમાં આઠથી દશ મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે નવા મંત્રી મંડળમાં કેટલાકને લોટરી લાગવાની શક્યતા છે. હાલ રાજકીય વર્તુળોમાં ‘ જો અને તો’ ની ચર્ચા ચાલી રહી છે.
પાટનગર ગાંધીનગરમાં કાલે શુક્રવારે યોજાનારા મંત્રી મંડળના શપથ ગ્રહણ માટેની તૈયારીઓ ચાલી રહી છે. સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે મળનારી કેબિનેટની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે મંત્રી મંડળના વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે. દરમિયાન બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેમને મોડી રાત સુધીમાં ફોન કરી દેવાશે.
ભાજપના સૂત્રોના કહેવા મુજબ આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના કાર્યક્રમથી ગુજરાત પરત આવ્યા બાદ તમામ મંત્રીઓ સાથે બેઠક યોજાશે. બેઠકમાં તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લેવામાં આવશે. સાંજે રાજ્યપાલને મળીને તમામનાં રાજીનામાં સોંપી દેવામાં આવશે.નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા કાલે શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.