
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી તા. 1લી સપ્ટેમ્બરથી હવે કેન્દ્ર સરકારના CRS Portal પર કરાશે
- CRS Portal પર જન્મ અને મરણની નોંધણી સરળતાથી થઇ શકશે,
- ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે,
- મ્યુનિસિપલ અને ગ્રામપંચાયત, ખાનગી હોસ્પિટલોના સ્ટાફને તાલીમ અપાઈ
ગાંધીનગરઃ રાજ્યમાં જન્મ-મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે હવેથી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર આવતી કાલથી એટલે કે તા. 01 સપ્ટેમ્બર, 2015થી કરવાની રહેશે. આ પોર્ટલ બપોરે 12.૦૦ કલાકથી કાર્યરત થશે, તેમ આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર CRS Portal પર જન્મ અને મરણના બનાવોની નોંધણી સરળતાથી થઇ શકશે. જે અંતર્ગત જિલ્લાના અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રારોને રાજ્ય કક્ષાએથી CRS Portal અંગે તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગર પાલિકા અને ગ્રામપંચાયતના સરકારી તથા ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે. વધુમાં, આ પોર્ટલ સંદર્ભે કોઈ પણ જાતના પ્રશ્ન ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે.
વધુમાં, તમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલને CRS Portalમાં મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા આજે જાહેર રજા (તા. 31/08/2025)ના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.