ગાંધીનગર, 09 માર્ચ 2026: BJP hands over Haryana responsibility to Harsh Sanghvi for Rajya Sabha elections, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે પક્ષના વિવિધ અગ્રણીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હરિયાણાની જવાબદારી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. ભાજપના સંગઠનાત્મક કામકાજમાં સક્રિય ભૂમિકા ભજવનારા હર્ષ સંઘવીને હવે હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની કામગીરી પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.
દેશના કેટલાક રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો ખાલી પડતા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ રાજ્યો માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા રાજ્ય માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકને ગુજરાતના રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ બિહાર રાજ્ય માટે છત્તીસગઢ સરકારના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઓડિશા રાજ્ય માટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી ચંદ્રશેખર બાવનકુલેને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હરિયાણા માટે માત્ર એક જ કેન્દ્રીય નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની પસંદગી કરવામાં આવી છે, જે પાર્ટી દ્વારા તેમના પર વ્યક્ત કરાયેલા વિશ્વાસને દર્શાવે છે.
ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી પાસે ગૃહ વિભાગ ઉપરાંત ઉદ્યોગ સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી છે. રાજ્ય સરકારમાં તેઓ મહત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવે છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય નિરીક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિરીક્ષકો પક્ષના ધારાસભ્યો સાથે સંકલન રાખે છે, મતદાન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપે છે અને ચૂંટણી દરમિયાન પાર્ટીની વ્યૂહરચના સફળ રીતે અમલમાં આવે તેની ખાતરી કરે છે. રાજકીય વિશ્લેષકોના મતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને અન્ય રાજ્યની જવાબદારી સોંપવી એ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો તેમના પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હર્ષ સંઘવી રાજ્યમાં વહીવટી તેમજ રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે.


