ગાંધીનગર, 12 માર્ચ 2026: Cattle farmers troubled by dispute over dairy area of two districts જિલ્લાના દહેગામ તાલુકા પર ગાંધીનગરની ડેરી અને અમદાવાદની ઉત્તમ ડેરી વચ્ચે કાર્યક્ષેત્રનો વિવાદ ચાલી રહ્યો છે. બન્નેની લડાઈમાં પશુપાલકોની હાલક કફોડી બની છે, અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચેના કાયદાકીય અને વહીવટી જંગમાં હજારો પશુપાલકો નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાતા આ નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં ઉત્તમ ડેરી સામે રોષ ફાટી નીકળ્યો છે.
દહેગામ તાલુકાના નવા થાંભલીયા ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મહિલાઓએ ઉત્તમ ડેરીના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા સહિત ગ્રામજનોએ ઉત્તમ ડેરીના ચેરમેનની પ્રતીકાત્મક નનામી કાઢી છાજિયા લીધા હતા. જે બાદ પૂતળાનું દહન કરીને રીતસરની અંતિમક્રિયા કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનાને પગલે સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ આ સમગ્ર વિવાદનું મૂળ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં રહેલું છે. દહેગામ તાલુકાની અંદાજે 70 જેટલી સક્રિય દૂધ મંડળીઓ અને 35 પેટા કેન્દ્રો દ્વારા દૈનિક 50 હજાર લીટર દૂધ જમા કરવામાં આવે છે. છેલ્લા ચાર મહિનાથી આ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં જતું હતું, જે દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (ઉત્તમ ડેરી) દ્વારા આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં આવતા મધુર ડેરીએ અચાનક દૂધ લેવાની ના પાડી દીધી હતી. દહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે, ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ મળે છે અને ભાવફેરના નાણાં પણ મળતા નથી, જેના કારણે પ્રતિ લીટર 50થી 60 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. પશુપાલકોની કહેવું છે કે, દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવતો હોવા છતાં તેમને પરાણે અમદાવાદ સંઘની ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે અન્યાયી છે.
દહેગામ તાલુકાના પશુપાલકોએ નહેરુ ચોકડી પર ચક્કાજામ કર્યા બાદ પશુપાલકોના પ્રતિનિધિ મંડળે મધુર ડેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટના આદેશનું બહાનું ધરીને ડેરીએ નમતું ન જોખતા મામલો બિચક્યો હતો. આથી રોષે ભરાયેલા પશુપાલકોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલક હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે, મોહન ભરવાડના જિદ્દી વલણને કારણે 1 લાખ જેટલા પશુપાલકોના પરિવારની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં દૂધના ભાવ અને કલેક્શનના પ્રશ્નોનો કાયમી અને પોષણક્ષમ ઉકેલ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દૂધનું પરિવહન અટકાવી દેવામાં આવશે અને આગામી સમયમાં જલદ આંદોલન છેડવામાં આવશે.


