1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું
નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું

નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું

0
Social Share

અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025ACB probes Surendranagar district land scam સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ આઠથી વધુ ટીમો દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પાડયા હતા. બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. ઇડીની આ કાર્યવાહીઓ સતત બે દિવસથી ચાલી રહી છે. જ્યારે ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ પર લેતા જમીન કૌભાંડમાં કઈ રીતે લાંચ લેવાતી તે સઘળી હકિકતના વટાણા વેરી નાંખ્યા છે. 

ACBના ડીઆઈજી મકરંદ જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગરમાં થયેલા ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિઓ મામલે ગત તારીખ 23-12-2025 ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ EDના એક સિનિયર અધિકારી દ્વારા કરવામાં આવી છે, જેમના સર્ચ ઓપરેશન દરમિયાન ભ્રષ્ટાચારના પુરાવાઓ હાથ લાગ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં  500 કરોડના જમીન એનએ (બીન ખેતી) કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે.

દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

ઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે,  સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયા પર જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે, જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પૂરાવા મળ્યા છે. ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. ઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે. જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, ક્યા પ્રકારની અરજી છે તે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code