
નવી દિલ્હીઃ ભારત અને ચીનના સબંધ ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બગડ્યા હતા જે હજુ સુધી સુધર્યા નથી. દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીન સાથે વેપાર માટે ભારતના દરવાજા બંધ નથી, પણ બંન્ને દેશોએ નક્કી કરવું પડશે કે તેઓ કયા ક્ષેત્રમાં અને કઈ શરતો સાથે એકબીજા સાથે વેપાર કરશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું, આ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જે કહી શકે કે હું ચીન સાથે વેપાર નહીં કરું. મને લાગે છે કે મુદ્દો એ છે કે તમે કયા ક્ષેત્રોમાં કઈ શરતો સાથે વેપાર કરો છો. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રીએ બર્લિનમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રીએ તાજેતરના સમયમાં ચીન સાથેના વેપાર અને રોકાણને લઈને સાવધ રહેવાની જરૂરિયાત વિશે ઘણી વખત વાત કરી છે. ગયા મહિને તેમણે કહ્યું હતું કે ભારતને ચીનની ખાસ સમસ્યાનો સામનો કરવો પડે છે. મેની શરૂઆતમાં, તેમણે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ની વાર્ષિક બિઝનેસ સમિટમાં કહ્યું હતું કે LAC પરના સ્ટેન્ડઓફ વચ્ચે ભારતીય કંપનીઓએ રાષ્ટ્રીય સુરક્ષા ફિલ્ટર દ્વારા ચીન સાથેના તેમના વ્યવસાયિક વ્યવહારોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને સ્થાનિક ઉત્પાદકો સાથે વધુ વ્યવહાર કરવો જોઈએ. અસરકારક રીતે સોર્સિંગ કરવું જોઈએ.
• ચીની ટેકનિશિયનો માટે વિઝા નિયમો હળવા કરવા પર વિચારણા
તમને જણાવી દઈએ કે ભારતે 2020થી તમામ ચીની નાગરિકો માટે રોકાણ વેરિફિકેશન તેમજ વિઝા લગભગ બંધ કરી દીધા છે. જો કે, હવે ચીની ટેકનિશિયનો માટે વિઝા નિયમોને સરળ બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેણે અબજો ડોલરના રોકાણમાં વિક્ષેપ પાડ્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારત સોલાર પેનલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ જેવા બિન-સંવેદનશીલ ક્ષેત્રોમાં ચીનના રોકાણ પરના નિયંત્રણો હળવા કરી શકે છે. આ ક્ષેત્રોમાં નિપુણતાનો અભાવ છે. આ સ્થાનિક ઉત્પાદનોને અવરોધે છે.