
- દારૂના નશામાં કારચાલક પોલીસ કર્મચારીએ કરેલા અકસ્માતમાં 3ને ઈજા
- લારી-ટુવ્હીલરનો ભુક્કો બોલાવીને કારને ઘરમાં ઘુસાડી દીધી
- અકસ્માત બાદ પોલીસ કર્મચારી કાર મૂકીને નાસી ગયો
અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં ગઈ મોડી રાતે પોલીસ કર્મચારીએ નશામાં ધૂત બનીને પોતાની કાર પૂર ઝડપે દાડવીને 5 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. અકસ્માત બાદ કારચાલક પોલીસ કર્મચારી કાર મુકીને નાસી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો. બકરામંડી પાસે દારૂ પીધેલા કારચાલકે પાંચથી વધુ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. વેગનઆરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતને લીધે એકઠા થયેલા લોકોના કહેવા મુજબ કારચાલક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી ત્રણ વાહનો અને લારી સહિતની વસ્તુઓને ટક્કર મારી હતી. એક્ટિવાચાલકે અકસ્માત સર્જનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં સંજય અસારી (37 વર્ષ), કાનજી પરમાર(60 વર્ષ), અને મુમતાઝ શેખ(50 વર્ષ)ને ઈજાઓ થઈ હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના રાણીપમાં બકરામંડી પાસે ગત મોડી રાત્રે પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. પાંચથી વધુ વાહનોને અડફેટે લીઘા બાદ પોલીસકર્મી સ્થળ પરથી નાસી ગયો હતો. પૂરપાટ ઝડપે ગાડીથી વાહનોને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. L-ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં એવી વિગતો મળી છે કે, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો યુવરાજસિંહ જોરાવરસિંહ નામનો પોલીસકર્મચારી સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે કાર લઈને આવી રહ્યો હતો. રાણીપ પાસે આવતા તેણે વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે એક બાઈકચાલક અને મહિલાને ઇજા પહોંચી છે. અકસ્માત થતાં પોલીસકર્મચારી કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો.