અમદાવાદ, 11 જાન્યુઆરી 2026: અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે. જ્યારે વડોદરાથી મંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ જતા વાહન-વ્યવહાર માટે સત્તાવાર ખૂલ્લો મુકવામાં આવ્યો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ થવાથી ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કીમ-બારડોલી સુધી વાહનોચાલકોની સફર સુગમ બની છે.
દિલ્હી-મુંબઈ સુધી 8 લેનનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે.એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પેકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જો કે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પુનગામથી કીમ સુધીનો માર્ગ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. જેથી સર્જાતી ટ્રાફિકજામની સ્થિતિ અને લોકોને પડતી તકલીફ મહદંશે કાબૂમાં આવશે. અત્યાર સુધી ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરતા હતા જો કે પુનગામથી કીમ વચ્ચેનો માર્ગ પણ શરૂ થઈ જતા હવે વાહનચાલકો સીધા કીમ સુધી જઇ શકશે. ત્યારબાદ ત્યાંથી બારડોલી એ સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે. આમ વાહનચાલકો વડોદરાથી સુરત સુધી એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે.


