1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

0
Social Share

ગાંધીનગરઃ બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ. 50,000ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25  રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93,500  હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે. 

મંત્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS)હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.ગત તા. 1 એપ્રિલથી તા. 31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ.50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 124.36  કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત  2.0 પોર્ટલ પર આવતીકાલ તા.01 જુલાઈથી આગામી તા. 15 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code