
પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ વધુ વણસી: અત્યાર સુધીમાં 43 લોકોના મોત, સાત લાખ લોકો પ્રભાવિત
ચોમાસાના વરસાદને કારણે પૂર્વોત્તરમાં આવેલા પૂરે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. આસામમાં બ્રહ્મપુત્રા અને બરાક સહિત 15 થી વધુ નાની-મોટી નદીઓ ભયાનક સપાટીથી ઉપર વહી રહી છે. ઘણા રાજ્યોમાં મોટો વિસ્તાર પૂરની ઝપેટમાં છે. લગભગ 7 લાખ લોકો પ્રભાવિત થયા છે, હજારો ઘરો નાશ પામ્યા છે અથવા ભારે નુકસાન થયું છે. હજારો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં 43 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આસામ અને મેઘાલયમાં ભારે વિનાશ જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આસામના 21 જિલ્લા પૂરથી પ્રભાવિત છે અને 6.32 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્થાનિક હવામાન કેન્દ્રે 11 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. રોડ, રેલ અને ફેરી સેવાઓને ભારે અસર થઈ છે.
સિક્કિમમાં 1,700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
સિક્કિમમાં ભૂસ્ખલન બાદ ફસાયેલા 34 લોકોને બે Mi-17 V5 હેલિકોપ્ટર દ્વારા નજીકના પાક્યોંગ એરપોર્ટ પર ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફસાયેલા 1,700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મિઝોરમમાં 10 દિવસમાં 5 લોકોના મોત
મિઝોરમ પણ વરસાદ અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. છેલ્લા 10 દિવસ દરમિયાન, મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલનની 552 ઘટનાઓ બની છે અને 152 ઘરોને નુકસાન થયું છે. આ ઘટનાઓમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂસ્ખલન અથવા તિરાડોને કારણે 198 પરિવારો પોતાના ઘર છોડીને ગયા છે અને 92 અન્ય લોકોએ પૂરને કારણે પોતાના ઘર ખાલી કરાવ્યા છે. રાજ્યના 11 જિલ્લાઓને પૂરથી અસર થઈ છે. વરસાદને કારણે 10 જિલ્લાઓમાં મંગળવારે સતત પાંચમા દિવસે શાળાઓ બંધ રહી.
3,1212 લોકો રાહત શિબિરોમાં છે
આસામમાં અસરગ્રસ્ત લોકો માટે 165 રાહત શિબિરો અને 157 રાહત વિતરણ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. 3,1212 લોકોએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. પૂરગ્રસ્ત લોકોમાં ખાદ્ય પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મણિપુરમાં 1.64 લાખ લોકો પ્રભાવિત
મણિપુરમાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 1.64 લાખ થઈ ગઈ છે. 35,143 ઘરોને નુકસાન થયું છે. ઓછામાં ઓછા 3,917 પૂરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જ્યારે 77 રાહત શિબિરો ખોલવામાં આવ્યા છે.
પીએમ મોદીએ વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ સાથે પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. માહિતી અનુસાર, ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં પૂર અને ભૂસ્ખલનને કારણે આસામમાં 17, અરુણાચલમાં 11, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કિમમાં 3 અને ત્રિપુરામાં 1 વ્યક્તિનું મોત થયું છે.