1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરોગ્ય કર્મચારીઓએ 16 દિવસની હડતાળ બાદ હવે 4 દિવસ કોઈ કાર્યક્રમ નહીં યોજે
આરોગ્ય કર્મચારીઓએ 16 દિવસની હડતાળ બાદ હવે 4 દિવસ કોઈ કાર્યક્રમ નહીં યોજે

આરોગ્ય કર્મચારીઓએ 16 દિવસની હડતાળ બાદ હવે 4 દિવસ કોઈ કાર્યક્રમ નહીં યોજે

0
Social Share
  • સરકારે ચીમકી આપતા ઘણા કર્મચારીઓ નાકરી પર પરત ફર્યા
  • હડતાળિયા કર્મચારીઓએ માત્ર ચાર દિવસ માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો
  • કર્મચારીઓને સત્યાગૃહ છાવણી ખાતે ન આવવા નિર્ણય લેવાયો!

ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. અને પાટનગર ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે હડતાળિયા આરોગ્ય કર્મચારીઓએ પ્રદર્શન અને દેખાવો કરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો. આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે અડગ રહેતા સરકારે એસ્માનુ શસ્ત્ર ઉગામીને 2000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જતા ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા હતા. આમ આરોગ્ય કર્મચારીઓની હડતાળને થોડો ફટકો પડ્યો હતો. દરમિયાન યુનિયન દ્વારા કહેવાય છે કે, હડતાળિયા કર્મચારીઓને ચાર દિવસ ગાંધીનગર નહીં આપવાની મૌખિક સૂચના આપતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 16 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની હડતાલને એકાએક ચાર દિવસ માટે બ્રેક આપવામાં આવ્યો છે. આથી કોઇપણ કારણ વિના કર્મચારીઓને ચાર દિવસ ગાંધીનગર નહીં આપવાની મૌખિક સૂચના આપવાથી અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલના પ્રથમ દિવસે કર્મચારીઓની સંખ્યાની સામે 16માં દિવસે કર્મચારીઓની સંખ્યા 25 ટકા જેટલી રહી હતી. આથી અચોક્કસ મુદતની હડતાલને પૂર્ણ કરવાની દિશામાં કે કોઇ નવા આયોજન સાથે હડતાલ ચાલુ રાખશે સહિતની ચર્ચાએ કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય વિભાગના  20 હજાર જેટલા કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા 16 દિવસથી ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ લડત આંદોલનના ભાગરૂપે અનેક વિરોધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા દરરોજ આરોગ્ય કર્મચારીઓની અટકાયત થવા છતાં આરોગ્ય કર્મચારીઓ લડત આંદોલન યથાવત રાખ્યું હતું. સહી ઝુંબેશ, થાળી વગાડવી, માતાજીની આરતી કરવી સહિતના અનેક કાર્યક્રમો થકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે તેમની ઉપર એસ્માનો દંડો ઉગામવવામાં આવ્યો હતો. ઉપરાંત કર્મચારીઓને નોટીસ, સર્વિસ બ્રેક, ચાર્જસીટ આપવી સહિતના પગલા લેવામાં આવ્યા હતા. વધુમાં સીસીસી, ખાતાકિય અને હિન્દીની પરીક્ષા પાસ નહીં કરેલા આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા સહિતના પગલાં લેવાતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે ઘણાબધા કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી હતી. હવે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલને માત્ર ચાર દિવસ માટે બ્રેક આપવાનું એલાન કરાયું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓના લીડર ગણાતા કર્મચારીઓએ ચાર દિવસના બ્રેકમાં કર્મચારીઓને ઘરે રહેવાનું પરંતુ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે નહીં આવવા તેમજ નોકરીમાં હાજર નહીં થવાનો નિર્ણય લીધો છે. જોકે  ચાર દિવસ સુધી હડતાલને બ્રેક આપ્યા બાદ નવા આયોજન સાથે હડતાલ શરૂ કરાશે કે પછી હડતાલને પૂર્ણ કરવાની દિશાનું પ્રથમ પગલું છે કે કેમ તેવા તર્ક વિતર્ક અન્ય સરકારી કર્મચારીઓમાં ઉઠી રહ્યા છે. કેમ કે આરોગ્ય કર્મચારીઓ 16 દિવસ પહેલાં ગાંધીનગરમાં આવ્યા ત્યારે લડત આંદોલનમાં હાજર કર્મચારીઓની સરખામણીએ 16માં દિવસે કર્મચારીઓની સંખ્યા 25 ટકા જ રહી હતી. આથી હડતાલને બ્રેક આપવામાં આવ્યો હોવાની પણ એક શક્યતા રહેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code