
- જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં 71721 ટન જીરૂની નિકાસ થઈ હતી,
- ચીને જીરાની ખરીદી ધીમી કરતા મોટો ફટકો પડ્યો,
- જીરાની વૈશ્વિક માગ ઓછી થતાં ભાવમાં ઘટાડો થયો
અમદાવાદઃ દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જીરાની ખેતી થાય છે. જીરાના ભાવ સારા મળતા હોવાથી સિંચાઈની સુવિધા અને હવામાન સાનુકૂળ હોય એવા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવતું હોય છે. વિશ્વના દરેક દેશોમાં ભારતના જીરાની માગ રહેતી હોવાથી નિકાસ પણ સારા પ્રમાણમાં થતી હતી. પણ વિવિધ કારણોને લીધે જીરાની નિકાસમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના લીધે જીરાના ભાવમાં પણ ઘટાડો થયો છે.
રશિયા-યુક્રેન ઈઝરાયેલ-હમાસ-ઈરાન જેવા દેશો વચ્ચે યુદ્ધ તથા દુનિયાભરમાં અન્ય સ્થળોએ ભૌગોલીક ટેન્શન વચ્ચે ભારતની જીરૂની નિકાસને મોટો ફટકો પડયો છે. ચાલુ વર્ષે નિકાસમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં ભારતમાંથી 71721 ટન જીરૂની નિકાસ થઈ હતી જે ગત વર્ષે આ ગાળામાં 97545 ટન કરતા 26 ટકા ઓછી હતી. નિકાસકારોનાં કહેવા પ્રમાણે ચીને ખરીદી ધીમી કરતા મોટો ફટકો છે. કારણ કે ચીનમાં જ પુષ્કળ ઉત્પાદન થયુ છે. ચીન જીરૂની આયાતને બદલે નિકાસ કરવા લાગ્યુ છે.આ સિવાય અન્ય દેશોમાં પણ ડીમાંડ ધીમી પડી છે. તે પાછળનુ મુખ્ય કારણ વિશ્વના અનેક સ્થળોએ ભૌગોલીક ટેન્શન છે.
જીરાના મોટા વેપારીઓના કહેવા મુજબ છેલ્લા ચાર મહિનામાં જીરાની નિકાસ 26 ટકા ઘટી છે. અને આવતા મહિનાઓમાં વધુ ઘટી શકે છે. મે-જુનનાં સતાવાર આંકડા જારી થયા નથી પરંતુ ગત વર્ષની તુલનામાં 50 ટકા નીચી રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં ચાલુ વર્ષે જીરૂનું ઉત્પાદન 97.93 લાખ ગુણીનું થયુ હતું. ગત વર્ષે 112.4 લાખ ગુણીનું હતું.નિકાસ ડીમાંડના વાંકે પ્રતિ કવીંટલ ભાવ ઘટીને 23500 રહ્યા હતા. ચાલુ મહીને ઘટીને 19400 થી 19600 થયા હતા.