રાજકોટ,11 ફેબ્રુઆરી 2026: શહેરના મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાદ્યતેલનું વેચાણ અને વપરાશ કરતા એકમો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યતેલનું વેચાણ કરતા કુલ 15 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 હેઠળ નિયમોના ઉલ્લંઘન અને ગુણવત્તાની ચકાસણી માટે ખાદ્યતેલના કુલ 18 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા. નમુનાઓ હાલ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે જે-તે વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરએમસીના હેલ્થ વિભાગના અધિકારીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણી ફરસાણની દુકાનોમાં એકવાર ઉપયોગમાં લેવાયેલા તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હતો, જે આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ફૂડ વિભાગે શહેરના મવડી, કોટેચાનગર, પેડક રોડ અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં આવેલી જાણીતી ફરસાણની દુકાનોમાંથી ‘Used Cooking Oil’ ના લૂઝ નમૂનાઓ એકત્ર કર્યા હતા. જે નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં રહેલા હાનિકારક તત્વોની વિગતો જાણી શકાય.
આ ઉપરાંત મ્યુનિના ફૂડ વિભાગે માત્ર વપરાયેલા તેલ જ નહીં, પરંતુ બજારમાં વેચાતા વિવિધ બ્રાન્ડના પેકેજ્ડ ખાદ્યતેલની ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તપાસ દરમિયાન સુમિત પ્રોવિઝન સ્ટોર અને ભોલા જનરલ સ્ટોરમાંથી ફિલ્ટર્ડ સીંગતેલ અને કોટનસીડ ઓઈલના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત, જ્યુબેલી માર્કેટ સામે આવેલી રાધે રાધે એજન્સીમાંથી રિફાઈન્ડ કોટનસીડ ઓઈલ’ અને ફિલ્ટર્ડ સીંગતેલ’ ના પેકેટ્સ લેવામાં આવ્યા હતા.


