
- 12મી જુન સુધી અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, અને વલસાડમાં ઝાપટા પડશે,
- 14થી 18 જૂનના દરમિયાન સાયક્લોનિક સકર્યુંલેશન સાથે ઓફ શોર ટ્રફ સક્રિય થશે,
- અંબાલાલ પટેલના કહેવા મુજબ 12મી જુનથી ચોમાસું સક્રિય બનશે
અમદાવાદઃ ચામાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં વિધિવત ચોમાસાના આગમન પહેલા જ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે.તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 14મીથી 18 જૂનના સમયગાળામાં અરબસાગરમાં મહારાષ્ટ્ર કાંઠે પણ એક સાયક્લોનિક સકર્યુંલેશન સાથે ઓફ શોર ટ્રફ સક્રિય થવાની શક્યતા છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા સુધીના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય બનશે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 10 થી 12 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ પછી 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. જ્યારે 14-15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ , 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ બનશે. હાલ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે. 15 તારીખ બાદ ભારેથી અતિભારે વરસાદ દેશના પશ્ચિમ કાંઠે રહેશે. કર્ણાટકથી મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વર્ષે કર્ણાટક, મહારાષ્ટ્રમાં 10થી 12 ઈંચ વરસાદ થઈ શકે છે. 12 જૂનથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 13થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધી વધી શકે છે. 15થી 23 તારીખમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.