1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલી નજીક રોડ ક્રોસ કરતી સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત
અમરેલી નજીક રોડ ક્રોસ કરતી સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત

અમરેલી નજીક રોડ ક્રોસ કરતી સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત

0
Social Share
  • વહેલી સવારે સિંહણને ટક્કર મારીને વાહનચાલક ફરાર
  • બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા
  • અજાણ્યા વાહનને શોધવા હાઈવે પરના સીસીટીવીના કૂટેજની તપાસ

અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. સિંહ પશુઓના શિકારની શોધમાં આટાંફેરા મારતા હોય છે. જો કે રાતના સમયે રોડ-રસ્તાઓ પર પસાર થતાં વાહનચાલકો ખાસ તકેદારી રાખતા હોય છે. સિહ તેની મસ્તીમાં રોડ ક્રોસ કરતા હોય છે. ત્યારે વાહનો થંભી જતા હોય છે. પણ ઘણીવાર કેટલાક વાહનચાલકો પુરફાટ ઝડપે વાહનો ચલાવતા હોય સિંહ વાહનોની અડફેટે આવી જતા હોય છે. આવો જ એક બનાવ અમરેલી નજીક શેત્રુંજી પુલ અને દેવળીયા ગામના પાટિયા વચ્ચે વહેલી સવારે બન્યો હતો. રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતાં સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.

અમરેલી નજીક શેત્રુંજી પુલ અને દેવળિયા ગામના પાટિયા વચ્ચે રોડ પર કોઈ અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરી કરતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. લીલીયા શેત્રુંજી વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ છે. વન વિભાગની અલગ-અલગ ટીમોએ અકસ્માત સર્જનારા વાહનની ઓળખ માટે તપાસ કરી રહી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ  દેવળિયાના પાટિયાથી શેત્રુંજી નદી તરફ ભારે વાહને અડફેટે લેતા સિંહણનું મોત થયું હતુ. રેવન્યુ વિસ્તારમાં ગોખરવાળા, ચાંદગઢ,દેવળીયા વગેરે વિસ્તારમાં સિંહોની વસ્તી ઘણીબધી છે. સિંહો રોડ ઉપર આવે છે. તે માટે સિંહોની સુરક્ષા માટે વનવિભાગ ઉંચા ટેકરા અને પીવાના પોઇન્ટ વધુ બનાવે તો અકસ્માતની ઘટનાઓ પર અંકુશ લાવી શકાય એમ છે. આ ઉપરાંત હાઇવેની બંને સાઈડ તારની ફેન્સિંગ લગાવવામાં આવે તો અકસ્માત અટકી શકે એમ છે.

અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, લીલીયા, સાવરકુંડલા, ખાંભા, ધારી સહિતના વિસ્તારોમાં સિંહોની અવરજવર 24 કલાક જોવા મળે છે. ખાસ કરીને વહેલી સવારે, રાત્રે અને સાંજના સમયે સિંહો હાઈવે ક્રોસ કરતા જોવા મળે છે. આ પહેલા પણ સિંહોના રોડ અકસ્માતના કેટલાક બનાવો બની ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના કેસોમાં વાહન ચાલકોની ઓળખ થઈ શકી નથી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code