સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલને રવિવારે યોજાશે, પરિણામ 28મીએ જાહેર થશે
ગાંધીનગર, 1 એપ્રિલ 2026: Local body elections will be held on April 26th રાજ્યમાં ચૂંટણી આયોગે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિધિવત જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓની ચૂંટણી આગામી તા. 26મી એપ્રિલને રવિવારે યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે. આ તમામ ચૂંટણીના પરિણામો તા. 28મી એપ્રિલના રોજ જાહેર થશે.
રાજ્ય ચૂંટણી પંચે આજે આખરી મતદાર યાદી સાથે સ્થાનિર સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની અને 34 જિલ્લા તથા 260 તાલુકા પંચાયત પર આગામી 26 એપ્રિલે સવારના 7થી સાંજના 6 મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી થશે. રાજ્યમાં ગાંધીનગર અને જુનાગઢ સિવાય તમામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે.
રાજ્ય ચૂંટણી કમિશનર ડો. એસ. મુરલી કૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માહિતી આપી હતી. ચૂંટણી જાહેર થતાં જ આજથી ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026 રહેશે. ફોર્મની ચકાસણી 13 એપ્રિલ, 2026ના રોજ હાથ ધરાશે. અને ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલ, 2026 રોજ યોજાશે અને મતગણતરી અને પરિણામ તા 28 એપ્રિલ, 2026 રોજ જાહેર કરાશે.
રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરતા ગુજરાતમાં રાજકીય રંગ જામ્યો છે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે 8 નવી નગરપાલિકાઓને ‘મહાનગરપાલિકા’નો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબિસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.


