1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા
ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

0
Social Share
  • ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ પડ્યો કમોસમી વરસાદ,
  • કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન,
  • શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન થયુ છે. ગઈકાલે સવારે 6થી આજરોજ સવારના 6 વાગ્યા સુધીમાં મહુવામાં 7.5, તળાજામાં 4.5, જેસરમાં 3 ઈંચ તો ઉમરાળા, સિહોર, પાલીતાણા અને ગારીયાધારમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે જ જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, ગારીયાધાર, પાલીતાણા, તળાજા, મહુવા અને જેસર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસથી વરસી રહેલા આ વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકો પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાંથી 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા પાલીતાણા-તળાજા તાલુકાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ શરૂ થયેલો ઝરમર વરસાદ ધોધમાર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. જિલ્લામાં થયેલા વરસાદની માપણી મુજબ વલ્લભીપુરમાં 106 મિમી, ઉમરાળામાં 59 મિમી, ભાવનગરમાં 35 મિમી, ઘોઘામાં 22 મિમી, સિહોરમાં 52 મિમી, ગારીયાધારમાં 57 મિમી, પાલીતાણામાં 41 મિમી, તળાજામાં 118 મિમી, મહુવામાં 184 મિમી અને જેસરમાં 81 મિમી વરસાદ નોંધાયો હતો. આ રીતે કુલ 10 તાલુકાઓમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.  કમસોમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખરીફ સીઝનના પાકો તૈયાર અવસ્થામાં હોવાથી ભારે વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા રવિ સીઝન માટેની તૈયારીઓ પર પણ અસર થઈ છે.

ભાવનગરના શેત્રુંજી ડેમ ગઈકાલે ચોમાસાની સીઝન બાદ 8મી વખત ઓવરફ્લો થયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદી આગાહીના પગલે સતત બીજા દિવસે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક શરૂ છે. ગઈકાલ બપોરના 12 કલાકે જેમાં ઉપરવાસમાંથી સતત ધસમસતી પાણીની આવક થતા શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સતત શરૂ રહેતા 28 ઓક્ટોબરના બીજા દિવસે હાલ શેત્રુંજી ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેકની જાવક થઈ રહી છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા પાલીતાણા તાલુકાના 5 ગામ, જેમાં નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ તળાજા તાલુકાના 12 ગામ, જેમાં ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર સહિતના ગામોને પણ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code