
- મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વીજપોલ અચાનક ધરાશાઈ થયો,
- 12 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર મળે તે પહેલાજ કરુણ મોત,
- ઘટના બાદ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
ભચાઉઃ સમગ્ર દેશમાં ગઈકાલે શનિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છવા ભચાઉ ચાલુકાના ચોબારી ગામે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ભચાઉના ચોબારી ગામમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું હતું.
કચ્છમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળ આઠમના પર્વની ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા અહીં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વીજપોલ અચાનક ધરાશાઈ થયો અને 12 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર મળે તે પહેલાજ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવથી ચોબારી ગામ સહિત વાગડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે….
આ બનાવની વિગત એવી છે કે, ભચાઉના ચોબારી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. મટકી ફોડતી વખતે જે થાંભલા પર દોરડું બાંધવામાં આવ્યું હતું તે થાંભલો અચાનક ભીડ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાએ જન્માષ્ટમીના આનંદમય વાતાવરણને શોકમાં ફેરવી દીધું હતુ.
આ અંગે ગામના સરપંચ વેલા જેસા પટેલે જણાવ્યું કે, ગઈકાલે શનિવારે સાંજે લગભગ 7.15 વાગ્યાના અરસામાં જુના ગામ વિસ્તારમાં ચાલી રહેલા મટકી ફોડના ધાર્મિક પ્રસંગ વેળાએ અચાનક રસ્સો બાંધેલો વિજ પોલ કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ઉપર પડ્યો હતો. એ દરમિયાન નીચે ઉભેલી વસ્તીમાં ભાગદોડ મચી ગઇ હતી, જોકે કમનશીબે ત્યાં ઉભેલો 12 વર્ષીય જયેશ લાલજી વરચંદ નામનો બાળક વીજપોલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઇજા પામ્યો હતો. જેને પ્રથમ મોટા ગામના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પૂર્વજ તેનું મૃત્યુ થયું હતું.