
- જામનગરનો વિસ્તાર પક્ષીઓનું સ્વર્ગ ગણાય,
- તેતર પક્ષીઓ ખાસ કરીને કચ્છમાં જોવા મળતા હોય છે,
- પક્ષીવિદોમાં તેતરનો અવાજ સાંભળીને ઉત્સાહ છવાયો
જામનગરઃ જિલ્લાનો કેટલોક વિસ્તાર પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. ગણાબધા પક્ષીઓ દુર દુરથી વિહાર કરવા માટે આવતા હોય છે. તેમજ ઘણા પક્ષીઓનો કાયમી વસવાટ જોવા મળતો હોય છે. આ વિસ્તારમાં દર વર્ષે લોકોને પક્ષી જગત વિશે કંઈક નવી જાણકારી મળતી રહે છે. આ વર્ષે અહીં બ્લેક ફ્રેંકોલીન એટલે કાળા તેતર જોવા મળ્યાં છે, જે ખૂબ જ અનોખી ઘટના છે.
જામનગરના કેટલાક પક્ષી પ્રેમીઓ સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમને બ્લેક ફ્રેંકોલીન એટલે કાળા તેતરનો અવાજ સાંભળવા મળ્યો હતો. સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. તેથી, તેનો અવાજ સાંભળતા જ પક્ષીવિદો ચોંકી ગયાં હતાં. જિલ્લાના ખટિયા વિડી વિસ્તારમાં પક્ષીવિદોને કાળા તેતરનો અવાજ સંભળાતા જ ખરેખર તેતર પક્ષીઓ છે કે નહીં તે તપાસવા કલાકો સુધી વિડીમાં કેમેરા અને બાયનોક્યુલર લઈને ફર્યાં હતા. શોધખોળ દરમિયાન તેઓને આશ્ચર્યજનક રીતે 6 થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતાં.
વર્ષો પહેલાં જામનગરના રાજા જામસાહેબ રણજીતસિંહજી આ જ વિસ્તારમાં કાળા તેતરની 500 જોડી બહારથી લઈને લાવ્યા હતાં. જોકે, કોઈ કારણોસર ફક્ત પાંચ વર્ષમાં જ આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી. વર્ષો પછી કચ્છ બાદ ફરીથી જામનગરમાં કાળા તેતર જોવા મળતાં પક્ષીવિદોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. સૌથી અનોખી વાત એ હતી કે, કાળા તેતર અને પચરંગી તેતર બંને પહેલીવાર એક જ જગ્યાએ જોવા મળ્યા હતાં.
જામનગરમાં કાળા તેતર જોવા મળતાં પક્ષી પ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંગે પક્ષી સંસ્થાઓને પણ જાણ કરવામાં આવી રહી છે. જામનગર પક્ષી જગત માટે કંઈક અનોખું આપવા માટે પ્રસિદ્ધ છે. ભૂતકાળમાં એશિયન ડોવિચર પક્ષી, મ્યુટ સ્વાન, રેડ નોટ તેમજ હમણાં જ આવેલા ગીધ પક્ષી તેની સાક્ષી પૂરે છે.