
- નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે,
- બીઆરટીએસ બસના માસિક પાસ છેલ્લા 6 મહિનાથી બંધ કરાયા છે,
- QR બેઝ બસ પાસ સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો
સુરતઃ શહેરમાં જાહેર પરિવહન સેવાનો વધુનો વધુ લોકો ઉપયોગ કરી શકે તે માટે મ્યુનિ. દ્વારા સિટીબસ સેવા તેમજ બીઆરટીએસમાં માસિક પાસ યોજના અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. શહેરીજનો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ આકર્ષાય તેના માટે અલગ અલગ પ્રકારની આકર્ષક જાહેરાતો પણ કરવામાં આવી. જેમાં સુમન ટિકિટથી લઈને માસિક પાસ સહિતની યોજનાઓ જાહેર કરવામાં આવી. પરંતુ હવે જાણે અધિકારીઓને આ યોજનામાં કોઈ રસ ન હોય તેથી માસિક પાસ યોજના સુવિધા પર બ્રેક મારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શાળા-કોલેજો શરૂ થવા જઈ રહી છે તે વચ્ચે સિટી બસ અને બીઆરટીએસ બસના માસિક પાસ યોજના છેલ્લા 6 મહિનાથી બંધ છે.
સુરત શહેરમાં પ્રતિદિન બે લાખ કરતા વધારે પ્રવાસીઓ સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં અવર-જવર કરનારા પ્રવાસીઓ પૈકી કેટલાક એવા પ્રવાસી હોય છે જે નિયમિત રીતે આ સેવાનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદ થઈ છે પરંતુ અધિકારીઓ અને નેતાઓની અણઆવડતને કારણે ઘણી વખત આ યોજના શરૂ હોવા છતાં પણ તેનો યોગ્ય અમલ કરવામાં ન આવતો હોવાને કારણે પ્રજાને આર્થિક ભારણની સાથેસાથે હાલાકી પણ ભોગવવી પડી રહી છે.
એસએમસીના સૂત્રોના રહેવા મુજબ ટેકનિકલ અપગ્રેડેશનના કારણોને લીધે નવા સુરત મની કાર્ડ અને સુરત મની રિપ્લેસમેન્ટ કાર્ડ ઈશ્યુ થતા નથી. અપગ્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેને શરૂ કરવામાં આવશે. ICICI બેંક દ્વારા સુરત મની કાર્ડ કે જે ISD વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન / સંચાલન કરવામા આવે છે તે ઈશ્યુ કરાયા છે. સુરત સિટી લિંક દ્વારા ડિસ્કાઉન્ટથી સુરત મની કાર્ડ આપવા QR બેઝ બસ પાસ ચાલુ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે. ઓનલાઇન તથા ઓફલાઇન QR બેઝ બસ પાસ સોફ્ટવેર ISD વિભાગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.