
ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણા નાગરિકો છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પુષ્ટિ આપી કે, ઇઝરાયલી હુમલાઓએ 2015ના પરમાણુ કરાર હેઠળ દેખરેખમાં આવતા બે સેન્ટ્રીફ્યુજ ઉત્પાદન સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા, ઈરાનના વડા ખામેનીએ તણાવ ઘટાડવા માટે વધતા આંતરરાષ્ટ્રીય દબાણને નકારી કાઢ્યું છે. તો બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષેત્રમાં લશ્કરી તૈનાતી વધારી, ઈરાનની ‘બિનશરતી શરણાગતિ’ની માંગણી કરીને અમેરિકાના હસ્તક્ષેપમાં નાટકીય રીતે વધારો કર્યો છે.દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે- ચીન, પાકિસ્તાન અને રશિયાના સમર્થનથી ઈરાનની વિનંતી પર, આવતીકાલે ન્યૂયોર્કમાં ઈરાન પર એક કટોકટી સત્ર નું આયોજન કર્યું છે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા માટે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં એક અલગ ગોળમેજ સત્રમાં બોલતા, પુતિને કહ્યું કે રશિયા એક એવા કરાર પર વાટાઘાટો કરવામાં મદદ કરી શકે છે, જે ઇઝરાયલની સુરક્ષા ચિંતાઓને સંબોધિત કરતાં ઇરાનને તેના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવવાની મંજૂરી આપશે. પુતિને કહ્યું કે તેમણે રશિયાના પ્રસ્તાવો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે શેર કર્યા છે. ગયા સપ્તાહના અંતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીતમાં મધ્યસ્થી કરવાની ઓફર કર્યા પછી તેમણે આ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે રશિયા અને ઈરાન મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે અને રશિયાએ બુશેહરમાં તેનો પહેલો પરમાણુ પાવર પ્લાન્ટ બનાવ્યો છે.