
ગુજરાતમાં બુધવારે બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, 21 જિલ્લામાં વરસાદની આગાહી
- ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા
- રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી
- હવામાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. આજે બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતના અડાજણ, પાલ, રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં સવારે બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે આજે રાત સુધીમાં ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 62-87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા સાથે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જશે. એની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં 4 દિવસ બાદ વરસાદનું આગમન થશે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ગુરૂવારથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એકસાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહમાં, જેમાં હાલ અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતાં ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.