
રાજસ્થાનઃ જાસુસીની શંકામાં સરકારી કર્મચારીની અટકાયત, મંજુરી વિના પાકિસ્તાન ગયાનું ખુલ્યું
જયપુરઃ પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ પછી, તપાસ એજન્સીઓ દેશભરમાં સક્રિય છે અને એવા લોકોને શોધી રહી છે જેમણે પોતાના દેશ સાથે દગો કર્યો છે અને પાકિસ્તાનને સમર્થન આપે છે. તપાસમાં, વિવિધ રાજ્યોમાંથી આવા ઘણા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ સંદર્ભમાં, રાજસ્થાનના જેસલમેરથી એકની ધરપકડ કરવામાં આવી છે. જેસલમેરથી એક સરકારી કર્મચારીની અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આરોપી સરકારી કર્મચારી પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. આરોપીનું નામ શકુર ખાન જણાવવા મળે છે. શકુર ખાન જેસલમેર જિલ્લાનો રહેવાસી છે અને રોજગાર કચેરીમાં ક્લાર્ક છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત તપાસ ટીમ આરોપી શકુર ખાનને જેસલમેરથી અટકાયતમાં લીધા બાદ તેને જયપુર લાવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પરવાનગી વિના પાકિસ્તાન પણ પ્રવાસ કર્યો છે. સરકારી કર્મચારી હોવાને કારણે તેણે પાકિસ્તાન જવા માટે વિભાગની પરવાનગી લેવી જોઈતી હતી. સુરક્ષા એજન્સીને જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેની ગતિવિધિઓ પણ શંકાસ્પદ હતી.
તાજેતરમાં, ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેના દ્વારા જેસલમેરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની મિસાઇલના કેટલાક ટુકડા શકુર ખાનના ઘર પાસે પણ પડ્યા હતા અને મોટો ભાગ નજીકના ખેતરમાં પડ્યો હતો, જેને બીજા દિવસે સેનાએ નિષ્ક્રિય કરી દીધો હતો. શકુર ખાનનું પાકિસ્તાની કનેક્શન સામે આવી શકે છે. અટકાયતમાં લેવાયેલા શકુર ખાનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.