1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 244 કરોડની આવક
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 244 કરોડની આવક

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના ફળી, 244 કરોડની આવક

0
Social Share
  • 9 એપ્રિલથી 27 જૂન સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો,
  • શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનામાં 25.62 કરોડનું વળતર અપાયું,
  • 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભર્યો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના અમલમાં મુકી હતી. તેને શહેરીજનોમાંથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. તા. 9 એપ્રિલ 2025થી 27 જૂન 2025 સુધીમાં કુલ 3,43,286 કરદાતાઓએ 244.14 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. આ વસૂલાતમાં 2,53,673 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી 160.09 કરોડ અને 89,613 કરદાતાઓએ ચેક તથા રોકડથી 84.05 કરોડ ભર્યા છે. એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને 25.62 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જોકે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના 30મી જુન સુધી હોવાથી ટેક્સની આવકમાં વધારો થશે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ વેરા વળતર યોજનાનાં 30 જૂન 2025 સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત મહિલા કરદાતાઓને 10% અને સામાન્ય કરદાતાઓને 5% વળતર આપવામાં આવે છે. શહેરીજનોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે, ઉપરાંત ‘વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ’ને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 4,019 કરદાતાઓએ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં નોંધણી કરાવી છે. મિલકત વેરાના બાકીદારોને રાહત આપવાના હેતુથી રાજકોટ મ્યુનિ. દ્વારા “વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ કરદાતાઓ વાર્ષિક ધોરણે ચાર હપ્તામાં જૂનો ચડત અને ચાલુ વર્ષનો બાકી વેરો ભરી શકે છે, જેનાથી નવું ચડતું વ્યાજ બંધ થાય છે. 27 જૂન 2025 સુધીમાં, કુલ 4,019 કરદાતાઓએ આ યોજનામાં નોંધણી કરાવી છે. આ યોજના 31 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ આવી છે.

ઉલ્લેખનીય છે કે, બાકી મિલકત વેરાની વસૂલાત માટે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26 માં વોર્ડ નંબર 7માં કુલ 22 મિલકતો અને વોર્ડ નંબર 3માં કુલ 4 મિલકતોને સીલ કરવામાં આવી છે. બીજી તરફ વેરા વસૂલાતમાં સારો સહયોગ આપનારા કરદાતાઓનું સન્માન કરવાના કાર્યક્રમ અંગે મ્યુનિ, દ્વારા વિચારણા ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code