અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026: આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પાર્ટીમાંથી એકાએક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કરપડાના નજીકના લોકોના કહેવા મુજબ રાજુભાઈ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે.
આમ આદમી પાર્ટીના લડાયક નેતા તરીકે જાણીતા થયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ થોડા મહિના પહેલા બોટાદ નજીક હડદરમાં માર્કેટ યાર્ડમાં કડદા પ્રથા સામે આંદોલન કર્યુ હતું. જેમાં કરપડાના સમર્થનમાં મોટા સંખ્યામાં લોકો અકત્ર થઈ જતા પોલીસ સાથે માથા કૂટ થઈ હતી. અને ત્યારબાદ પોલીસે રાજુ કરપડા સહિત નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી. અને કરપડાને જામીન ન મળતા જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને કહેવાય છે. કે, કરપડાના જેલવાસ દરમિયાન જ ભાજપે ખેલ પાડી દીધો હતો. અને થોડા દિવસમાં ભાજપોનો ખેસ પહેરશે તેવી અટકળો થઈ રહી છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ રાજીનામા અંગે એવુ કહેવાય છે કે, રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. 4 મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કરી કે નથી તો તેની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી. પરંતુ કપરાસમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું ધરી દીધું છે. આ અંગે કરપડાના સાથીદાર એવા પ્રવીણ રામે દાવો કર્યો છે કે રાજુ કરપડા ભાજપ સરકારની દબાણની રાજનીતિનો ભોગ બન્યા હોઈ શકે છે. તેમના મતે, હડદડમાં થયેલા ખેડૂત આંદોલન બાદ કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમને જેલમાં પણ દબાણ તથા અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.


