- ઉંદરોના આતંકથી દર્દીઓથી માંડી સ્ટાફ ત્રાહિમામ
- દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડ આસપાસ ફેંકવામાં આવતા એઠવાડને લીધે ઉંદરોમાં વધારો,
- ઉંદરોનો ત્રાસ દૂર કરવા હોસ્પિટલના સત્તાધિશો સમક્ષ દર્દીઓએ કરી માગ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ એટલે બધો વધી રહ્યો છે. કે, ઉંદરો રાતના સમયે દર્દીઓને ઊંઘવા દેતા નથી. દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ એક કાયમી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. ઉંદરોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે હવે ઉંદરો સીલિંગની પાઈપો પર એટલે કે દર્દીઓના માથા પર જ આટાંફેરા મારતા જોવા મળે છે. જેના કારણે દર્દીઓ સતત ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો વસવાટ વર્ષો જૂનો છે, છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ઉંદરોના ત્રાસ પાછળનું એક મુખ્ય કારણ દર્દીઓના સગાંઓ દ્વારા વોર્ડની આસપાસ ફેંકવામાં આવતો એંઠવાડ છે. ઉંદરોના ત્રાસને કારણે ઘણીવાર દર્દીઓ આરામ કરી શકતા નથી અને હોસ્પિટલના અગત્યના દસ્તાવેજો પણ કાપી નાખવાના બનાવો બન્યા છે. થોડા વર્ષો પહેલાં સિવિલના ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા એક દર્દીની આંખ ઉંદરે કરડી ખાધી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી. આટલી ગંભીર ઘટના બાદ પણ તંત્ર દ્વારા માત્ર પાંજરા ખરીદવા જેવા કામચલાઉ પગલાં લેવાયા છે, જે સમસ્યાને નિયંત્રિત કરવામાં તદૃન નિષ્ફળ રહ્યા છે. દર્દીઓની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્રએ આ ગંભીર ત્રાસથી મુક્તિ માટે તાત્કાલિક અને કાયમી ધોરણે નક્કર પગલાં લેવા માગ ઉઠી છે.


