
અટારી સહિત ત્રણેય બોર્ડર પર BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ હવે આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે. આ ઉપરાંત, ખેડૂતો માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે.
- BSFના અધિકારીએ સેરેમની વિશે શું કહ્યું ?
BSF અધિકારીઓએ કહ્યું હતું કે, BSF જવાનો અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની આજે મંગળવારે સાંજે 6:30 વાગ્યે અટારી, હુસૈનીવાલા અને સડકી બોર્ડર પર શરૂ થશે. હવે સામાન્ય જનતા પણ સમારોહ જોવા માટે આવી શકશે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ સરકારે કડક નિર્ણય લીધો હતો અને સરહદી દરવાજા બંધ કરી દીધા હતા તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન 6 મેથી ત્રણેય સરહદો પર સમારોહ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
- કોણે રિટ્રીટ સેરેમની શરૂ કરવાની કરી હતી માંગ ?
અમૃતસરમાં રહેતા ટેક્સી યુનિયનના હજારો પરિવારોની આજીવિકા રિટ્રીટ સેરેમનીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ પર આધારિત છે. રિટ્રીટ સેરેમની બંધ થવાને કારણે તેની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. તાજેતરમાં ટેક્સી યુનિયને સરકાર પાસે માંગ કરી હતી કે, રિટ્રીટ સેરેમની ફરીથી શરૂ કરવામાં આવે જેથી તેઓ તેમના પરિવારોનું ભરણપોષણ કરી શકે.
- વાડના દરવાજા ખેડૂતો માટે ખુલ્લા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, સરહદ પર વાડના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ખેડૂતો માટે વાડના દરવાજા પણ ફરી ખોલવામાં આવ્યા છે. હવે તેઓ નદી પાર કરીને ખેતી કરી શકશે. જેને લઈને BSF અધિકારીઓએ કહ્યું હતું કે, સૈનિકોએ વાડની પેલે પારની બધી જમીનની તપાસ કરી હતી કે શું દુશ્મને ક્યાંય લેન્ડમાઇન બિછાવી છે. સંપૂર્ણપણે સંતુષ્ટ થયા પછી, ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે.