
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ચોથીવાર થયો ઓવરફ્લો, ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા
- પાલીતાણાના 5 ગામો અને તળાજાના 12 ગામોને એલર્ટ કરાયા,
- ડેમમાંથી હાલ 15,340 ક્યુસેક પાણી શેત્રંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે,
- શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારીયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો
ભાવનગરઃ અમરેલી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નદીમાં પુર આવતા શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થતાં જેમના 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવતા પાલિતાણા અને તળાજાના નદીકાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી નદીમાં 15340 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ચોમાસાની આ સીઝનમાં શેત્રુંજી ડેમ ચોથીવાર ઓવરફ્લો થયો છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા છે. તેના લીધે પાલીતાણાના 5 ગામો તથા તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાલીતાણા તાલુકાના 5 ગામોમાં નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના 12 ગામોમાં ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમ ચામાસાની સીઝનમાં ચોથીવાર ઓવરફ્લો થયો છે. ગઈ તા.17 જૂન 2025ના રોજ પ્રથમ વખત, તા.6 જુલાઈ 2025ના રોજ બીજી વખત, તા.13 જુલાઈ 2025ના રોજ ત્રીજી વખત અને તા.20 ઓગસ્ટ 2025 રોજ ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો છે. આમ, ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે.
ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારી એ બાલધિયાએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમ આજે બપોરે 12 વાગ્યા આસપાસ 20 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા, 12:15 વાગ્યા આસપાસ તમામ 59 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા આસપાસ તમામ 59 દરવાજા 2 ફુટ સુધી ખોલવામાં આવ્યા હતાં.
શેત્રૂંજી ડેમ ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાના ખેતી સાથે સંકળાયેલા 122 ગામોને પાણી પૂરું પાડે છે, જ્યારે પીવા માટે ભાવનગર પાલીતાણા તથા ગારીયાધાર જૂથ પુરવઠા યોજના અંતર્ગત 56 ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડે છે, ભાવનગરને એક મહિનામાં 100 MLD પાણી વપરાય છે, એ પ્રમાણે જોઈએ તો અત્યારે શેત્રુંજી ડેમ જેટલો ભરાયો છે તેમાં પીવાના પાણી માટે કોઈ પ્રશ્ન રહેતો નથી, આથી આગામી દિવસોમાં કદાચ વરસાદ ન થાય તો પણ ખેત સિંચાઈ માટે પાણી કેનાલોમા છોડી ખરીફ પાકોનું વાવેતર બચાવી શકાશે.