
આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર અને અન્ય ખાડી દેશોમાં ભીખ માંગવા જાય છે અને તેના કારણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી શરમનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ખાડી દેશો પાકિસ્તાની ભિખારીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે અને તેમને દેશનિકાલ કરી રહ્યા છે. જે દેશોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કતાર, ઓમાન, ઇરાક, મલેશિયા જેવા મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શરમનો સામનો કરી રહેલી પાકિસ્તાનની શાહબાઝ સરકારે દેશનિકાલ કરાયેલા ભિખારીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
શાહબાઝ શરીફ સરકારે ખાડી અને અન્ય દેશોમાંથી દેશનિકાલ કરાયેલા પાકિસ્તાની ભિખારીઓના પાસપોર્ટ રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સરકાર તે બધા પર પાંચ વર્ષ માટે મુસાફરી પ્રતિબંધ પણ લાદશે અને તે બધા લોકો સામે FIR નોંધવાનો પણ નિર્ણય લીધો છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ઇસ્લામનો ગઢ કહેવાતા સાઉદી અરેબિયાએ છેલ્લા 16 મહિનામાં દેશમાંથી 5,000 થી વધુ ભિખારીઓને દેશનિકાલ કર્યા છે. આ ઉપરાંત, સાઉદીએ ભિખારીઓ માટે પાકિસ્તાનને પણ ઠપકો આપ્યો હતો.
આ સંદર્ભમાં, પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી સંસદીય બેઠકમાં દેશનિકાલ કરાયેલા 7,873 ભિખારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધા ભિખારીઓને 2019 થી 2025 દરમિયાન સાઉદી અરેબિયા, કતાર અને ઓમાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે, જેઓ આંતરરાષ્ટ્રીય ભિખારી સિન્ડિકેટનો ભાગ રહ્યા છે. પાકિસ્તાનના લોકો હજ કરવાના બહાને સાઉદી અરેબિયા, ઈરાન અને ઇરાક જેવા દેશોમાં જાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ ભીખ માંગવાનું શરૂ કરી દે છે. ભિખારીઓને કારણે શરમનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે પાકિસ્તાનીઓને વિઝા આપવામાં પણ ખચકાટ અનુભવી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી શરમ હોવા છતાં, શાહબાઝ શરીફની સરકારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી કારણ કે સત્ય એ છે કે આ ભિખારીઓની ભિક્ષા પાકિસ્તાનના DGPમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં કહ્યું હતું કે લગભગ 2.2 કરોડ પાકિસ્તાનીઓ ભીખ માંગે છે, જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં દર વર્ષે 42 અબજ પાકિસ્તાની રૂપિયાનું યોગદાન આપે છે. ભિખારીઓના દાન ઉપરાંત, શાહબાઝ સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને ચલાવવા માટે IMF બેલઆઉટ પેકેજ અથવા IMF દાન પર નિર્ભર છે.