
નવી દિલ્હી : કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ પહેલા 27 મેના રોજ પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. સામાન્ય રીતે 1 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોચે છે.
કેરળમાં ચોમાસુ 27 મેના રોજ પહોંચી જશે તો 2009 પછી પ્રથમ વખત ચોમાસુ આગમન આટલુ વહેલુ થશે. 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ એક જૂન સુધી પહોચે છે અને 8 જુલાઇ સુધી સમગ્ર દેશમાં છવાઇ જાય છે. 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું ચાલુ કરી દે છે અને 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે પરત ફરે છે.
આ અગાઉ આઇએમડીએ એપ્રિલમાં વર્ષ 2025માં વરસાદ સામાન્યથી વધારે રહેવાની આગાહી કરી હતી અને અલ નીનો પરિસ્થિતિઓની સંભાવના ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે દેશના 4 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ કૃષિ ક્ષેત્ર વરસાદના પાણી પર આધારિત છે. ભારતની 50 ટકા ખેતી જૂનથી સપ્ટેમ્બર સુધી પડતા વરસાદ પર આધાર રાખે છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણમાં આવેલા કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના (હેડ ઓફિસ ,નવી દિલ્હી) આગાહી વિભાગના રાષ્ટ્રીય સ્તરના વડા(સાયન્ટિસ્ટ- જી ) અને મુંબઇ કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(નિવૃત્ત) સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં કહ્યું છે કે સામાન્ય રીતે ભારતમાં શિયાળો,ઉનાળો, ચોમાસુ એમ ત્રણેય મોસમનું કુદરતી ચક્ર સંપૂર્ણપણે નિયમિત અને શિસ્તબદ્ધ હોય છે. આમ છતાં ક્યારેક કેટલાંક કુદરતી પરિબળોની અસરથી આ ચક્રમાં આછેરો ફેરફાર પણ થાય છે.