
- સુરત શહેરના 2.17 લાખ મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો
- એપ્રિલના 15 દિવસમાં 100 કરોડની એડવાન્સ ટેક્સપેટે આવક થઈ હતી
- એડવાન્સ ટેક્સમાં રિબેટ અપાતા પ્રોપર્ટી ટેક્સની આવકમાં થયો વધારો
સુરતઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજના અમલમાં મુકતા તેને નાગરિકો તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિને પ્રોપ્રટી ટેકસની આવક રૂપિયા 359 કરોડથી વધુ થઈ છે. મ્યુનિને એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જ પ્રોપ્રટી ટેક્સ પેટે 100 કરોડની વધુની આવક થઈ હતી.
સુરત મ્યુનિ.કોર્પોરેશનમાં ઓકટ્રોયની નાબૂદી બાદ મિલકત વેરાની આવક મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. સુરત મ્યુનિએ મિલકત વેરાની વસુલાત વધુ થાય તે માટે એપ્રિલ અને મે મહિનામાં રિબેટ આપવાનો નિર્ણય કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિબેટ મેળવવા માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત મ્યુનિની તિજોરીમાં બે મહિનામાં જ વેરા પેટે 359 કરોડથી વધુ જમા થયા છે. શહેરના 2.57 લાખ મિલકતદારોએ નાણાકીય વર્ષ શરૂ થયાના બે મહિનામાં જ વેરો જમા કરાવી દીધો છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશને મિલ્કત વેરો ભરવા માટે નાગરિકોને એપ્રિલ મહિનામાં 10 ટકા અને મે મહિનામાં સાત ટકા રિબેટ આપવાની જાહેરાત કરી હતી. જો કોઈ કરદાતા ઓનલાઈન વેરો ભરે તો વધારાના બે ટકા રિબેટ આપવામા આવ્યું હતુ. નાણાકીય વર્ષ શરૂ થયાના પહેલા પખવાડિયામાં જ મ્યુનિની તિજોરીમાં 100 કરોડનો મિલકત વેરો જમા થયો હતો. બે મહિનામાં એડવાન્સ વેરો જમા થયો તેના સામે સુરત મ્યુનિએ 18.72 કરોડ રૂપિયાનું રિબેટ આપ્યું હતુ. સુરત મ્યુનિ. દ્વારા ઓનલાઈન વેરા વસુલાતની કામગીરી શરૂ કરી છે જેના કારણે હવે લોકો ઓનલાઈન વેરો ભરતા થયાં છે. શહેરના નાગરિકો એડવાન્સમાં વેરો ભરીને રિબેટનો લાભ લીધો છે. તેના કારણે મ્યુનિમાં વેરા વસુલાતની કામગીરીમાં રાહત થવા સાથે જે આવક થઈ રહી છે તેનાથી વિકાસના કામો પણ ઝડપથી થઈ રહ્યાં છે.