અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે તાપમાનમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે હાલ સવારે ગુલાબી ઠંડી અને બપોરના ટાણે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. હાલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે.
ગુજરાતભરમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તરીય પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનમાં વધારાનું મુખ્ય કારણ પૂર્વીય પવનો છે, જે પ્રમાણમાં ગરમ હોય છે. શિયાળાની વિદાય સાથે ઉનાળા તરફ આગળ વધી રહ્યા હોવાથી આ એક ટ્રાન્ઝિશન પિરિયડ છે. આગામી 4 દિવસ માટે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 4 દિવસ પછી ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેનાથી ગરમીનો અહેસાસ વધશે. સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 10થી 15 નોટ્સની આસપાસ રહેશે. હાલમાં માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું કે, ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાયા છે. તેથી આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. 4 દિવસ બાદ 2 થી 3 ડીગ્રી તાપમાન વધશે. જે સામાન્ય કરતા મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાય રહ્યું છે.


