
મુંબઈ હુમલા કેસમાં આતંકી રાણાને અમેરિકાથી ભારત લવાયો, સુરક્ષા એજન્સીઓ કરેશે પૂછપરછ
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને હવાઈ માર્ગે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ ખાસ વિમાનમાં આતંકી રાણાને અમેરિકાથી લઈને આવી છે. તેમજ તેને આગામી 24 કલાકમાં આરોપીને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ એનઆઈએ દ્વારા તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર ગુરુવારે બપોરે તહવ્વુર રાણાને ખાસ વિમાન મારફતે સુરક્ષા એજન્સીના અધિકારીઓ પહોંચ્યાં હતા. જે બાદ એનઆઈએ દ્વારા તેની ધરપકડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટ ઉપર પહેલાથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ એરપોર્ટ ઉપરથી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આતંકી રાણાને એનઆઈએ કાર્યાલય લઈને જશે. આ ઉપરાંત આરોપીનું મેડિકલ ચેકએપ પણ કરાવવામાં આવશે.
26/11 મુંબઈ હુમલામાં આતંકવાદીઓ શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં સામેલ કમાન્ડો સુરેન્દ્રસિંહએ આરોપી તહવ્વુર રાણાની ભારત વાપસીને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, મને આશા છે કે, તહબ્બુર રાણાની ફાંસીની સજા આપવામાં આવશે.
2009માં એફબીઆઈએ રાણાની શિકાગોથી ધરપકડ કરી હતી. તેની ઉપર કોપેનહેગનમાં આતંકી પ્રવૃતિમાં સંડોવણીમાં સામેલ હોવાના આરોપસર 14 વર્ષની સજા થઈ હતી. ભારત લાંબા સમયથી પ્રત્યર્પણની કોશિશ કરતું હતું. રાણાએ અમેરિકાની વિવિધ કોર્ટમાં વિવિધ અપીલ કરીને પોતાના પ્રત્યર્પણને અટકાવવાના પ્રયાસ કર્યાં હતા. તમામમાં તેને નિષ્ફળતા મળી હતી. 7મી એપ્રિલ 2025ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.
એનઆઈએને આશા છે કે, રાણાની પૂછપરછમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા વચ્ચેના સંબંધોને લઈને ચોંકાવનારા ખુલાસા થશે. રાણા પાસેથી હાફિઝ સઈદ, જકી-ઉર-રહેમાન લખવી, સજ્જાદ મીર અને ઈલિયાસ કાશ્મીર જેવા વોન્ટેડ આતંકીઓને લઈને ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. કોર્ટે તમામ સામે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યાં હતા. તેમજ પાકિસ્તાનને કાનૂની નોટિસ (લેટર રોગેટરી) મોકલવામાં આવ્યાં હતા. જો કે, પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.