
- જિલ્લા કલેકટરે કરી જાહેરાત,
- મેળા દરમિયાન ગ્રામીણ ઓલમ્પિક અને પશુ હરિફાઈ યોજાશે,
- કલેકટરે મેળાની તૈયારીઓ અંગે કરી સમીક્ષા
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનાઓમાં અનેક સ્થળોએ લોકમેળાઓ યોજાતા હોય છે. જોકે વરસાદને લીધે ઘણા મેળાઓ આ વખતે યોજી શકાયા નથી. ઝાલાવાડનો સુપ્રસિદ્ધ અને ભાતીગળ મેળાથી ઓળખાતો તરણેતરનો લોકમેળો આ વખતે ન યોજવા ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો, પણ જિલ્લા કલેકટર દ્વારા ચર્ચા કર્યા બાદ તરણેતરનો મેળો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ભાતીગળ મેળાનો પ્રારંભ થશે. મેળા દરમિયાન ગ્રામીણ ઓલમ્પિક અને પશુ હરિફાઈ યોજાશે.
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે ઘણા લોકમેળાઓ બંધ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે દર વર્ષે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળો 6ઠ્ઠી સપ્ટેમ્બરથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર કેયુર સંપટના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેળાનાં આયોજન સાથે સંબધિત અધિકારીઓ/પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે તરણેતરનો ભાતીગળ લોકમેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન અને સુચના આપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તે પ્રકારનાં ક્ષતિરહિત આયોજન અને અમલીકરણ માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે.
કલેક્ટરે મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓની ચકાસણી કરી ભારે વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ, રસ્તાઓ પર સાઈન બોર્ડ ગોઠવવા સહિતની કામગીરી, મેળાનાં દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસનાં રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ-મેળાનાં મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાનાં પાણી-શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ-એમ્બ્યુલેન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું
આ ઉપરાંત, મેળામાં નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે ત્યારે તેને ધ્યાનમાં રાખી નિયત SOP મુજબ મેળાનું આયોજન થાય તે માટે અને મેળામાં દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ, SDRFની ટીમો સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વિગતવાર સૂચનો કર્યા હતા. મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તરણેતરનાં મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સ્ટોલધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું.